છેલ્લા 150 થી વધુ વર્ષોનો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતાં જામનગરના આણદાબાવા ચકલા રોડ પર તાલુકા સ્કૂલ સામે આવેલા પૌરાણિક શ્રી ત્રિકમરાયજી મંદિર ખાતે પવિત્ર પુરૂષોત્તમ માસના પાવન અવસરે પરંપરાગત ભક્તિભાવ પૂર્વક ભવ્ય અન્નકૂટ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.
રાજમાતા તેજીબા દ્વારા નિર્મિત અને હવેલીના પરમ પૂજ્ય મહારાજ શ્રી વ્રજનાથજીના હસ્તે જે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી અને જ્યાં ચતૂર્ભૂજ વિષ્ણુ (વામન ભગવાન) સ્વરૂપે પ્રભુ બિરાજમાન છે. તેવા આ શ્રદ્ધાના કેન્દ્રમાં પુરૂષોત્તમ માસ નિમિત્તે વિશેષ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ઠાકોરજી સન્મુખ વિવિધ પ્રકારના મિષ્ઠાન્ન, ફરસાણ, ફળફ્રૂટ તથા છપ્પન ભોગ સહિતની ખાદ્ય સામગ્રીઓનો અલૌકિક અન્નકૂટ મનોરથ ધરાવવામાં આવ્યો હતો.
સમગ્ર વર્ષ દરમ્યાન લગભગ દરેક ધાર્મિક ઉત્સવો આ મંદિરમાં ઉજવવામાં આવે છે. દિવાળીના પર્વથી લઇને સમગ્ર વર્ષ દરમ્યાન ભગવાનને વિવિધ શણગારો અને ઉત્સવો ઉજવવામાં આવે છે. પુરૂષોત્તમ માસ નિમિત્તે અગાઉ બીજના રથયાત્રાના દર્શ, તો અન્નકૂટના દર્શન તો વળી આંબા મનોરથ જેવા વિવિધ ધાર્મિક ઉત્સવો દ્વારા વૈષ્ણવોને દર્શનનો અદ્ભૂત લહાવો પણ મળે છે.
મંદિરના પૂજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપણા ધી અભાઇ જોષીએ જણાવ્યું હતું કે, પ્રભુના દિવ્ય શ્રૃંગાર અને અન્નકૂટ દર્શન માટે વૈષ્ણવો તથા સ્થાનિકોની ભારે ભીડ ઉમટી પડી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું અને ઉપસ્થિત તમામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વૈષ્ણવોએ પણ આ દિવ્ય દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.


