Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરરોગોથી સ્વસ્થ કરવાનું કામ દવાઓ કરે છે, પરંતુ રોગોનો નાશ આયુર્વેદિક ઉપચાર...

રોગોથી સ્વસ્થ કરવાનું કામ દવાઓ કરે છે, પરંતુ રોગોનો નાશ આયુર્વેદિક ઉપચાર થકી થાય છે : રાજ્યપાલ

ચાર મહાનુભાવોને ડોક્ટર ઓફ લિટરેચર અને 741 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી : ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની ચાર યુનિવર્સિટી અને એક રિસર્ચ સેન્ટર સાથે એમઓયુ કરાયા : : ભારતમાં આયુર્વેદનો અમૃતકાળ શરૂ થયો છે : કેન્દ્રીય રાજ્ય આયુષમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા

- Advertisement -

જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના 28મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ર્ચિદ્ દુ:ખ ભાગ્ભવેત્’ની કામના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આયુર્વેદવિદ્યા માણસને જીવન પ્રદાન કરે છે, માનવજીવન માટે આનાથી ઊંચી કોઈ વિદ્યા નથી. વિદ્યાર્થીઓનો અભ્યાસ ભલે પૂર્ણ થયો હોય પરંતુ તેમણે આજીવન વિદ્યા સાથે જોડાયેલા રહેવું જોઈએ. કારણ કે જો ખેડૂત ખેતરે જવાનું અને વિદ્યાર્થી પુસ્તક ખોલવાનું બંધ કરી દે તો તે વ્યર્થ છે. રોગોથી સ્વસ્થ થવાનું કામ દવાઓ કરે છે પરંતુ રોગોનો નાશ કરવાનું કામ આયુર્વેદ પદ્ધતિ કરે છે. આયુર્વેદ પદ્ધતિ થકી આવનારી પેઢીનું કલ્યાણ થશે. તેમણે વિદ્યાર્થીઓને ધર્મ, સમાજસેવા, સત્ય અને લોકો સાથે કયા પ્રકારે વ્યવહાર કરવો તે અંગે સમજણ આપી હતી.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્ય આયુષમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને વિશેષ અતિથિ તરીકે સાંસદ ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ યુનિવર્સિટીમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે તેમજ ડી. લિટ.ની પદવી આપવામાં આવી તે ચાર મહાનુભાવોને રાજ્યપાલએ અભિનંદન પાઠવ્યા હતા. ભારત દેશ આઝાદ થયો તે પહેલાં જામનગરના રાજા મહારાજાઓએ અહી ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આયુર્વેદનો વ્યાપ વધારવા ઉપર ભાર મૂકી રહ્યા છે. જામનગરમાં ડબલ્યુ.એચ.ઓ.નું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બની રહ્યું છે, જ્યાં વિશ્ર્વની પરંપરાગત સ્વાસ્થ્ય પ્રણાલીઓનું રિચર્ચ કરવામાં આવશે. જેના થકી આયુર્વેદ ક્ષેત્રે જામનગરે વિશ્વભરમાં આગવી ઓળખ મેળવી છે. ભારતની સાંસ્કૃતિક વિરાસત ધરાવતી ગુજરાતની આયુર્વેદ યુનિવર્સિટીએ વિશ્વને અનેક આયુર્વેદ વિદ્વાનો પાઠવ્યા છે.

ધન્વંતરિ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સમારોહમાં વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર પદ્મશ્રી મેળવનાર વૈદ્ય ગુરદીપસિંઘ, ડો. પરબાઈ મીનુ હીરાજી, ઇન્દુમતી કાટદરે અને ડો. મનોરંજન સાહૂને ડી. લિટ. (ડોક્ટર ઓફ લિટરેચર)ની પદવી રાજ્યપાલના હસ્તે એનાયત કરવામાં આવી હતી. તેમજ ડિપ્લોમા, પીજી ડિપ્લોમા, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, એમડી, એમએસ અને પીએચડી મળી કુલ 741 વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ મેડલ અને રજત મેડલ એનાયત કરાયા હતા. આ સમારોહમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની ચાર યુનિવર્સિટીઓ જેમાં ગુજરાત વિદ્યાપીઠ,ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત બાયોટેક્નોલોજીકલ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર સાથે એમ. ઓ. યુ. કર્યા હતા. આ એમ.ઓ.યુ. થકી નવી જ દિશામાં શિક્ષણની પરિભાષા અને સંશોધન વિકસતા માનવ વિકાસના દ્વાર ખુલશે.

- Advertisement -

આ સમારોહમાં કેન્દ્રીય રાજ્ય આયુષ મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી જામનગરમાં ડબલ્યુએચઓનું જીસીટીએમ સેન્ટર શરૂ થઈ રહ્યું છે. જામનગરનું ITRA નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતું આયુષ સેન્ટર છે. જામનગરની ગુલાબ કુંવરબા આયુર્વેદ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી છે. છેલ્લા થોડાક વર્ષોમાં ખાસ કરીને કોરોના બાદ દેશના લોકો આયુર્વેદિક દવાઓ તરફ વળ્યા છે. અને આયુર્વેદિક દવાઓના વેચાણમાં પણ વધારો થયો છે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિએ આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ છે. 21મી સદીના યુવાઓની જવાબદારી છે કે તેઓ આયુર્વેદને આગળ વધારે. ભારતમાં આયુર્વેદનો અમૃતકાળ શરૂ થયો છે. તમામ વિદ્યાર્થીઓ વન અર્થ, વન હેલ્થના સૂત્ર સાથે ચાલે. છોટી કાશીમાં આજે પધારવાની તક મળી તેમજ વિશ્ર્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી અને ચાર મહાનુભાવોને ડી. લિટની પદવી એનાયત કરાઇ તે તમામને અભિનંદન.

આ કાર્યક્રમમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ મુકુલ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમારોહમાં સાંસદ ભારતીબેન શિયાળ,આયુષ વિભાગના સંયુક્ત સચિવ પ્રકાશભાઈ પટણી, ITRAના ડાયરેક્ટર અનુપ ઠાકર, મેયર બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય રીવાબા જાડેજા, કલેકટર બી.એ.શાહ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, અગ્રણી ડો.વિમલભાઈ કગથરા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રભારી રજિસ્ટ્રાર એચ. પી. ઝાલા, વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલેસરો, આચાર્યો, વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular