જોડિયા તાલુકાના ટીંબડી ગામે વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા માતા-પુત્રને વીજકરંટ લાગતા કરૂણ મોત નિપજ્યાં હતા. આ કરૂણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી.
આ ગોઝારી દુર્ઘટનાની મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા ગીતાબેન નાયક (ઉ.વ.22) નામની મહિલા તથા તેમનો પુત્ર રાજેશ લાલસીંગ નાયક પોતાની વાડીમાં કામ કરી રહ્યા હતાં આ દરમિયાન અચાનક માતા-પુત્રને વીજકરંટ લાગતા બેશુધ્ધ થઈ ગયા હતાં. જેથી માતા-પુત્રને ધ્રોલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસી માતા-પુત્રનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું.
આ કરૂણ દુર્ઘટનાને પરિણામે શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટનાની જાણ થતા જોડિયા પોલીસ સૌપ્રથમ ઘટનાસ્થળે અને ત્યારબાદ ધ્રોલ હોસ્પિટલે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


