જામનગર શહેરના સોનીબજારમાં આવેલા વેપારીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા અજાણ્યા તસ્કરોએ ગણતરીની મિનિટોમાં જ ચાર લાખની કિંમતના પાંચ તોલાના સોનાના દાગીનાની ચોરી કરી ગયાના બનાવની પોલીસે તપાસ આરંભી હતી.

ચોરીના બનાવની વિગત મુજબ જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલી સિલ્વર સોસાયટીમાં રહેતાં કૈઝરભાઇ મામુજીભાઇ સોની (ઉ.વ. 75) નામના વૃઘ્ધના જૂની સોનીબજારમાં આવેલી સોના-ચાંદીની દુકાને ગત્ તા. 25 એપ્રિલના રોજ સવારના સમયે ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના ખરીદી કરવા માટે જોવા માગ્યા હતા. ત્યારબાદ એક પછી એક દાગીના વેપારીએ બતાવ્યા હતા. દરમ્યાન ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરએ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી કાનમાં પહેરવાના બે જોડી ઝુમ્મર, કાનમાં પહેરવાના ત્રણ જોડી હિયરીંગ અને ત્રણ જોડી બુટી તથા કિવીની એક જોડી સહિત કુલ રૂા. ચાર લાખની કિંમતના પાંચ તોલાના સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતા. ત્યારબાદ દાગીના ચોરાયાની જાણ થતાં વેપારીએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ ડી. જી. રામાનુજ તથા સ્ટાફએ અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ગુનો નોંધી તસ્કરને ઝડપી લેવા સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ચક્રો ગતિમાન કરતાં તસ્કરો હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.