કાલાવડમાં જૂના ગ્રેઇન માર્કેટ રોડ ઉપર આવેલા જ્વેલર્સને ત્યાં દાગીનાની ખરીદી કરવા આવેલા જાણીતા શખ્સે રૂપિયા 7,59,530ની કિંમતના સોનાના દાગીના ઘરે પત્નીને બતાવવા માટે લઇ ગયા બાદ એક માસ સુધી પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આદરી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ રાજકોટમાં પ્રહલાદ પ્લોટ, ધન્વન્તરી માર્ગ પર રહેતાં મિતેશભાઇ ગિરીશભાઇ કડેચા (ઉ.વ.32) નામના વેપારી યુવાનની કાલાવડમાં જૂના ગ્રેઇન માર્કેટ રોડ ઉપર આવેલા શ્રીજી જ્વેલર્સ નામની દુકાનમાં ગત્ તા. 17 જુલાઇના રોજ બપોરે એક વાગ્યાના અરસામાં કાલાવડના ભગવતીપરામાં રહેતો સાગર મહેતા નામનો શખ્સ દાગીનાની ખરીદી કરવા માટે આવ્યો હતો. જ્યાં સાગરે જ્વેલર્સ મિતેશભાઇ પાસેથી રૂપિયા 1,53,770ની કિંમતનો 10 ગ્રામ 390 મિલીગ્રામ વજનનો સોનાનો ચેઇન, રૂા. 2,35,318ની કિંમતનો 15 ગ્રામ 900 મિલીગ્રામ વજનનો સોનાનો ચેઇન તથા રૂા. 1,62,651ની કિંમતનો 10 ગ્રામ 990 મિલીગ્રામ વજનનો સોનાનો ચેઇન તથા રૂા. 2,07,791ની કિંમતનું પુરૂષનું 14 ગ્રામ 040 મિલિગ્રામનું બ્રેસલેટ મળી કુલ 51 ગ્રામ 320 મિલીગ્રામના સોનાના ત્રણ ચેઇન અને બ્રેસલેટ સહિત કુલ રૂા. 7,59,530ની કિંમતના સોનાના દાગીના તેની પત્નીને બતાવવા માટે લઇ ગયા બાદ હજી સુધી પરત કર્યાં ન હતાં.
વેપારી દ્વારા અવારનવાર દાગીનાની માંગણી કરવા છતાં દાગીના પરત નહીં કરતાં આખરે વેપારી મિતેશે કાલાવડ પોલીસ સ્ટેશનમાં સાગર મહેતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


