છેતરપિંડી કેસમાં આગોતરા જામીન મંજૂર કરતી વખતે જામનગર સેશન્સ કોર્ટ દ્વારા જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એ. ચાવડા વિરૂદ્ધ ઇન્કવાયરી કરવા સંબંધેના કેસમાં થયેલ હુકમ સામે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એ. ચાવડા દ્વારા હાઇકોર્ટમાં આ અંગે અરજી કરતા ગુજરાત હાઇકોર્ટે હુકમ સ્ટે કરી, નોટિસ કાઢવા આદેશ કરેલ છે.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, રૂા.21,91,000ની છેતરપિંડી થયા અંગેની ફરિયાદ જામનગરના બ્રાસપાર્ટના ધંધાર્થી ભાવિન રમેશભાઈ મંગે દ્વારા ફરીદાબાદના દુર્ગા એન્જીનિયરીંગના નામે કારખાનું ધરાવતા મંજુબેન વિવેકભાઈ પાંડે, (રહે. કાનપુર, ઉત્તરપ્રદેશ) વિરૂદ્ધ વિશ્ર્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. જેની તપાસ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ હતી. આ દરમ્યાન આરોપી મંજુબેનએ જામનગરના બીજા એડિ. સેશનકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરતા સેશન્સ કોર્ટના જજ આર.વી. મંડાણી આગોતરા જામીન મંજૂર કરેલ હતાં. પરંતુ આ જામીન અરજીના હુકમમાં તપાસનીશ અધિકારી ન હોવા છતાં પો.ઇન્સ્પેક્ટર નિકુંજકુમાર અજીતસિંહ ચાવડા વિરૂદ્ધ ડીપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવા પણ આદેશ કરેલ હતો.
તે દરમ્યાન આ હુકમ સામે પો.ઇન્સ્પેક્ટર એન.એ.ચાવડા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સ્પે. ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરી મજકુર હુકમ પડકારેલ હતો. જેની સુનાવણી કરી હતી. સુનાવણી દરમ્યાન અરજદારના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા જુદી-જુદી હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ટાંકી એવી રજૂઆત કરવામાં આવેલ કે, જે તે કોર્ટે જામીન અરજીના નિર્ણય સમયે માત્ર જામીન આપવા પાત્ર છે કે કેમ? તે જ જોવાની ફરજ હતી. પરંતુ હાઈકોર્ટ તેમજ સુપ્રિમકોર્ટના ચૂકાદાઓ અનુસાર જામીન આપતા સમયે આવા હુકમો કરી શકે નહીં અને પોતાના કાર્યક્ષેત્ર બહાર જઈ શકે નહીં આ રજૂઆતને ધ્યાનમાં લઇ જજ આર.વી.મંડાણી સેશન્સ કોર્ટ જામનગરનો હુકમ સ્ટે કરેલ છે અને આ કેસની વધુ સુનાવણી માટે તા. 30-06-2025ના રાખવામાં આવેલ છે.