લાલપુર-પોરબંદર રોડ પર સણોસરી ગામના પાટીયા નજીક મીની લકઝરી બસ ક્રેટા સાથે અથડાતા ચાલક વૃદ્ધનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાનું બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે આવેલા માધવબાગમાં રહેતાં દેવાણંદભાઈ માલદેભાઈ કાંબરીયા (ઉ.વ.62) નામના વૃદ્ધ ગત્તા.21 ના સવારના સમયે તેની ક્રેટા કાર લઇ જામનગરથી જામજોધપુર જતા હતાં તે દરમિયાન લાલપુર-પોરબંદર રોડ પર સણોસરી ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે પુરપાટ બેફીકરાઇથી આવી રહેલી જીજે-03-બીવી-6127 નંબરની મહાદેવ ટ્રાવેર્લ્સની મીની લકઝરી બસના ચાલકે ક્રેટા કારને હડફેટે લઈ ઠોકરે ચડાવતા અકસ્માતમાં કારના ચાલક દેવાણંદભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પુત્ર કલ્પેશભાઈ દ્વારા જાણ કરાતા ઈન્ચાર્જ પીઆઇ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


