Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના નવાગામ ઘેડમાં વેપારી યુવાનની નિર્મમ હત્યા - VIDEO

જામનગરના નવાગામ ઘેડમાં વેપારી યુવાનની નિર્મમ હત્યા – VIDEO

કરિયાણાના સામાનના બાકી રહેતાં પૈસાની ઉઘરાણી કરતાં જીવ ગુમાવ્યો :  ઉશ્કેરાયેલા શખ્સે છરીનો જીવલેણ ઘા ઝીંકયો : ઢળી પડેલા વેપારીને જી. જી. હોસ્પિટલ ખસેડાયો : સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો : પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી તપાસ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડા સમયથી હત્યાની ઘટનાઓ બનતી જાય છે. સાથે સાથે ચોરીના બનાવો પણ વધી રહ્યા છે. જામનગરના નવાગામ ઘેડમાં સાંજના સમયે કરિયાણાના દુકાનદારે બાકી રહેતા પૈસાની ઉઘરાણી કરતા  શખ્સે છરીના એક જ ઘા માં દુકાનદારનું ઢીમ ઢાળી દીધું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ ગોપાલચોક વિસ્તારમાં રહેતાં અને શ્રીજી પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન ચલાવતા સહદેવસિંહ કેશુભા રાઠોડ નામના યુવાને તેની દુકાનેથી ઉધાર માલ સામાન લઇ ગયેલા તેના જ વિસ્તારમાં રહેતાં જયદીપસિંહ ઉર્ફે મુંગો કેશુભા વાળા નામના શખ્સ પાસે બાકી રહેતાં પૈસાની ઉઘરાણી કરી હતી. સામાનના પૈસાની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા જયદીપસિંહે તેની પાસે રહેલી છરી કાઢી સહદેવસિંહની છાતીમાં જીવલેણ ઘા ઝીંકયો હતો. જેના કારણે લોહી લુહાણ હાલતમાં સહદેવસિંહ ઢળી પડયા હતાં. ત્યાબાદ ઈજાગ્રસ્ત યુવાનને સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

જ્યાં સારવાર દરમિયાન સહદેવસિંહનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીઆઇ એન.એ. ચાવડા તથા સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. તેમજ ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે કિશોરસિંહ રાઠોડના નિવેદનના આધારે જયદીસિંહ ઉર્ફે મુંગા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં અને મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી યુવાન ઉપર થયેલા હુમલાની જાણ થતા પરિવારજનો તથા મિત્રવર્તુળો હોસ્પિટલે દોડી ગયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular