ધ્રોલમાં જાલિયા ગામની યુવતી જન્મદિવસે જ નદીના પાણીમાં પગ લપસી ડૂબી જતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં રહેતી ઇસિતાબેન વસંતભાઇ સોલંકી નામની 19 વર્ષની યુવતીનો જન્મદિવસ હોય જેથી તા. 10ના પોતાના ગામમાં આવેલ ઉંડ નદીના કાંઠે તેમના સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરવા ગઇ હતી. ત્યારે ઉંડ નદીના કાંઠે પોતાના હાથપગ ધોવા જતાં પોતાના પગ પાણીમાં લપસી જતાં પાણીમાં ખાબકી હતી. ઉંડા પાણીમાં ગરકાવ થતાં તેને બહાર કાઢી સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણી મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે આકાશભાઇ સોલંકીએ પોલીસને જાણ કરતાં હે. કો. આર. ડી. જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જન્મદિવસે જ યુવતીએ અંતિમ શ્વાસ લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.


