જામનગરમાં ચંદનબુક સ્ટોલના પ્રોપરાઇટર દિનેશભાઈ શાંતિલાલ સોઢા પાસેથી શહેર જામનગરના નારોલા રાજેશભાઇ લક્ષ્મણભાઈ એ પોતાની અંગત જરૂરિયાત માટે મિત્રતાના સંબંધદાવે રૂા.1 લાખ હાથ ઉછીના લીધા હતાં તથા તે રકમની પરત ચૂકવણી અંગે નારોલા રાજેશભાઈ લક્ષ્મણભાઈએ રૂા. એક લાખનો યુનિયન બેંક ઓફ ઈન્ડિયા જામનગરમાં આવેલ ખાતાનો ફરિયાદી નામ જોગ ચેક લખી આપેલ હતો. જે ચેક તેની પાકતી મુદ્તે ભરતા ફંડ ઈન્સફીશિયન્ટ ના કારણે પરત ફરતા ફરિયાદી દિનેશભાઈ શાંતિલાલ સોઢા ચેક પરત ફરવા અંગેની વકીલ મારફત લીગલ નોટીસ મોકલાવેલ જે નોટીસ બજી જતાં આરોપીએ રકમ ચૂકવેલ નહીં તથા નોટીસનો કોઇ જવાબ આપેલ નહીં. જેથી ફરિયાદી દ્વારા જામનગરની અદાલતમાં નારોલા રાજેશભાઈ લક્ષ્મણભાઈ વિરૂધ્ધ ચેક રિટર્નની ફરિયાદ ધી નેગોશિએબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબની નોંધાવેલ હતી.
કેસ ચાલી જતાં ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ, જુબાની તથા સુપ્રિમ કોર્ટ તથા વડી અદાલતના ચૂકાદાઓ વગેરે ધ્યાને લઇ જામનગરના ચોથા એડીશનલ ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણી દ્વારા આરોપી નારોલા રાજેશભાઈ લક્ષ્મણભાઈને ધી નેગોશિયબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 ના ગુના સબબ તકસીરવાન ઠરાવીને તેઓને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકથી બમણી રકમ રૂા. 2 લાખ ફરિયાદીને વળતર સ્વરૂપે ચૂકવી આપવા તથા આરોપી તથા આરોપી વળતર ચૂકવા કસૂર કરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો ભોગવવા અંગે હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે વકીલ તરીકે અશ્ર્વિન કે. બારડ (એડવોકેટ) રોકાયેલા હતાં.


