આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી સહિત શ્રાવણ માસના તહેવારો અને રજાના દિવસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના જામનગર વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને સરળ અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે માટે તહેવારો દરમિયાન વધારાની બસો દોડાવવાની સાથે સ્ટાફની પણ વધારાની ફાળવણી કરવામાં આવી છે.
મધ્યસ્થ કચેરીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની સૂચના મુજબ જામનગર વિભાગ દ્વારા તહેવારો દરમિયાન વધતા મુસાફર ભારને પહોંચી વળવા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ખાસ કરીને ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોને જોડતા રૂટ પર વધારાની બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
દ્વારકા ડેપો પોતાના વાહનો ઉપરાંત જામજોધપુર ડેપોની 4, ધ્રોલ ડેપોની 4 અને ખંભાળિયા ડેપોની 4 બસો તથા ડ્રાઇવર-કંડક્ટરની સેવા સાથે એક્સ્ટ્રા સંચાલન કરશે.
View this post on Instagram
દ્વારકાથી જામનગર, રાજકોટ, સોમનાથ, પોરબંદર, બેટ દ્વારકા, ઓખા, ગોપીતળાવ અને નાગેશ્વર સહિતના મહત્વના પ્રવાસી અને ધાર્મિક રૂટ પર મુસાફરોની જરૂરિયાત મુજબ વિશેષ બસો દોડાવવામાં આવશે.
જામનગર ડેપો દ્વારા પોતાના સ્પેરમાં રહેલા 10 વાહનોનો ઉપયોગ કરીને જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, મોરબી સહિતના વિવિધ રૂટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યા પ્રમાણે જરૂરી રૂટ પર બસોની સંખ્યા વધારવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
તહેવારો દરમિયાન બસોના વધારાના સંચાલનને અસરકારક રીતે ચલાવવા માટે જરૂરી વધારાના ડ્રાઇવર-કંડક્ટર સહિતના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. શ્રાવણ માસના તહેવારો અને રજાના દિવસોમાં એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપી વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે.
એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તહેવારો દરમિયાન ખાનગી વાહનોના બદલે વધુમાં વધુ એસ.ટી. બસ સેવાનો લાભ લે અને સુરક્ષિત તથા સુવિધાયુક્ત મુસાફરી કરે.


