જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ અંતર્ગત ઇસ્કોન પરિવાર દ્વારા શનિવારે જગન્નાથ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો એમ્યુઝમેન્ટ પાર્ક નજીકથી પ્રારંભ થયો હતો અને શહેરના વિવિધ રાજમાર્ગો પર પરિભ્રમણ કરી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નજીક પુર્ણાહુતી થઇ હતી. શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર પ્રસાદ વિતરણ સહિતના આયોજનો થયા હતા. આ ઉપરાંત આ દિવસે શ્રૃગાર દર્શન, છપ્પન ભોગ દર્શન સહિતના ધાર્મિક કાર્યો યોજાયા હતાં.
રાજકોટ રોડ ઉપર આવેલા ઈસ્કોન મંદિરમાં શનિવારે સવારે મંગળા આરતી, ત્યારબાદ શૃંગાર દર્શન, પ્રવચન, વિશેષ આરતી, છપ્પન ભોગ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા બાદ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા શ્રીજી હોલથી ભગવાન શ્રી જગન્નાથજી, સુભદ્રા તથા બલરામજીની શોભાયાત્રા પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રા એમ્યુઝમેન્ટ પાર્ક, સત્યમ્ કોલોની આહિર સમાજ, રોઝી પેટ્રોલ પંપ, પ્રણામી રોડ, ઓશવાળ કોલોની, જોલી બંગલા, ખંભાળિયા ગેઇટ, ચાંદીબજાર, રણજિત રોડ, બેડીગેઇટ, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પોટરી ગલી, ત્રણ દરવાજા ખાતે વિરામ પામી હતી. આ રથયાત્રાનું ઠેર ઠેર વિવિધ સામાજિક સંગઠનો તથા વેપારી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હરે કૃષ્ણ હરે રામના નાદ સાથે શોભાયાત્રામાં ભાવિકો અને સત્સંગ મંડળો જોડાયા હતાં.
View this post on Instagram
રાજ્યના શિક્ષણમંત્રી અને જામનગર (ઉત્તર) વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર (દક્ષિણ) વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશભાઇ કાનાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, પુર્વ જિલ્લા ભાજપા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, કોર્પોરેટર રાજુભાઇ યાદવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.


