જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા ત્રણ યુવાનો માટે કાલાવડ તાલુકાનો ખડખંભાળિયા ડેમ મોજ-મસ્તીની જગ્યાએ મોતનો મંચ બની ગયો. ડેમમાં નાહવા ઉતરેલા ત્રણ મિત્રો પૈકી એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોનો સમયસર બચાવ થતાં તેમના જીવ બચી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરના શંકર ટેકરી વિસ્તારના ત્રણ મિત્રો રવિવારે કાલાવડ તાલુકાના ખડ ખંભાળિયા ડેમ ખાતે નાહવા માટે પહોંચ્યા હતા. નાહતી વખતે અચાનક તેઓ ઊંડા પાણીમાં પહોંચી જતાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.
View this post on Instagram
જાણ થતાં જ કાલાવડ ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર એમ. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીમાં ઉતરી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ એક યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય બે યુવાનોનો સમયસર બચાવ કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.
આ ઘટનાના પગલે ડેમ વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


