જામનગર શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ અટકાવવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત એસઓજીની ટીમએ ધ્રોલ અને જામનગરના બે શખ્સોની ધરપકડ કરી અમદાવાદ અને ભૂજ જેલહવાલે કર્યા હતા.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોના વેચાણના ગુનામાં અવારનવાર સંડોવાયેલા શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી અંતર્ગત ઇન્ચાર્જ પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એલ. એમ. જેર, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફે નશીલા પદાર્થોના ગુનામાં સંડોવાયેલા જાવિદ કાસમ જામ વાઘેર (રહે. ગાયત્રીનગર, ધ્રોલ) અને રીઝવાન મોહમદ કોરેજા (રહે. સેતાવાડ, જીવા સેતાનો ડેલો, સેન્ટ્રલ બેન્ક પાછળ, જામનગર) નામના બે શખ્સો વિરૂદ્ધ પીઆઇટી એનડીપીએસની દરખાસ્ત પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમ દ્વારા મંજૂર કરાતા એસઓજીની ટીમએ બન્ને શખ્સોની ધરપકડ કરી જાવિદ જામ અને રીઝવાન કોરેજાને અમદાવાદ તથા ભૂજની મધ્યસ્થ જેલમાં ધકેલી દઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


