નડીયાદના બે જીએસટી અધિકારીને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા હતાં. ટ્રાન્સપોર્ટર પાસેથી ગાડી છોડાવવા માટે રૂા.55 લાખની માંગણી કરી 10 લાખનો હપ્તો લેતા ઝડપાયા હતાં.
આ અંગેની વિગત મુજબ ફરિયાદી ટ્રાન્સપોર્ટેશનનો વેપાર કરતા હોય તેઓની સામાન ભરેલી ગાડી સેન્ટ્રલ જીએસટી અધિકારીએ પકડી હતી. જે ગાડી નડીયાદ સેન્ટ્રલ જીએસટી ઓફીસ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં ફરિયાદી ગાડી છોડાવવા જતાં ગાડીમાં રહેલ માલસામાનના કાગળોમાં જીએસટી બાબતે ક્ષતિ કાઢી કાઢી છોડાવવાના અવેજ પેટે નડીયાદના જીએસટી ઇન્સ્પેકટર સુબોધ સુભાષ ચૌહાણ તથા નડીયાદના સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અમરનાથ ગોવર્ધનરામ સરોજએ ફરિયાદી પાસે રૂા.55 લાખની લાંચ માંગી હતી. જે પૈકીના પ્રથમ હપ્તાના રૂા.10 લાખલાંચની રકમ પહેલા આપવા જણાવ્યું હતું. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી ગાંધીનગર મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ અમદાવાદ એસીબી નાયબ નિયામક ભારતી પંડયા ગાંધીનગર એસીબીના ડી.એચ. ચૌધરી સહિતના દ્વારા નડીયાદ સેન્ટ્રલ જીએસટીની ઓફીસ ખાતે છટકુ ગોઠવી સુબોધ સુભાષ ચૌહાણ, અમરનાથ ગોવર્ધનરામ સરોજને રંગેહાથ રૂા.10 લાખની લાંચ લેતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


