જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં રહેતી મહિલાના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને પત્ની નિ:સંતાન હોવાથી પત્ની સાથે અવારનવાર ઝઘડો કરી ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં રહેતાં મંજુબેન અરશીભાઇ કરમુર (ઉ.વ.54) નામના પ્રૌઢાને ભીખા માલદે કાંબરિયા સાથેના લગ્નજીવન દરમ્યાન નિ:સંતાન હોય જેથી પતિ ભીખાને અન્ય મહિલા સાથે સંબંધો હતાં. તેમજ આ સંબંધોના કારણે ભીખા માલદે કાંબરિયાએ તેની પત્ની મંજુબેનને નજીવી બાબતોમાં અવારનવાર બોલાચાલી અને ઝઘડો કરી ગાળો કાઢતો હતો. તેમજ પતાવી દેવાની ધમકી પણ આપતો હતો. પતિએ તેની પત્નીને અવારનવાર શારીરિક અને માનસિક દુ:ખત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. આ બનાવ સંદર્ભે પ્રૌઢાના પરિવારજનો તેણીના પતિને સમજાવવા ગયા હતા. તે દરમ્યાન પણ ભીખાએ સમજાવવા આવેલા વ્યક્તિઓ સાથે ગાળો કાઢી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મંજુબેન તેણીના પિતા અરશીભાઇના રબારિકા ગામમાં આવેલા ઘરે જતાં રહ્યાં હતાં.
દરમ્યાન માવતરે બેસેલા પ્રૌઢાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં તેણીના જ પતિ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. ડી. એમ. કંચવા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.


