હાલના સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા વધારવા અને વિસરાતા જતા પૌષ્ટિક આહાર ‘શ્રી અન્ન’ (મિલેટ)ના મહત્વને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી જામનગર શહેરમાં આજથી બે દિવસ ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા ગ્રાઉન્ડ, ઓસવાળ-3, શ્રીજી હોલ પાછળ, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે યોજાનારા આ મહોત્સવનો સમય સવારે 9:00 થી રાત્રિના 9:00 કલાક સુધીનો રહેશે. આ મહોત્સવ દ્વારા નાગરિકોને જુવાર, બાજરી, રાગી, કાગ, કુટકી અને સામો જેવા મિલેટ્સના પોષણ મૂલ્ય વિશે જાણકારી અપાશે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.
View this post on Instagram
આ મહોત્સવની મુખ્ય વિશેષતામાં ‘લાઈવ ફૂડ ઝોન’ છે, જ્યાં મુલાકાતીઓ મિલેટમાંથી બનતી આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વાનગીઓ જેવી કે મિલેટ ફ્રેંકી, મિલેટ-પાણીપુરી, ભેલપૂરી, રાગી સૂપ, જુવાર-બાજરાના ઢેબરા, કટલેસ, પાનકેક, રાગી ઈડલી, બાજરાની ખીચડી, જુવાર ચાટ, લિટલ મિલેટ બિસ્કિટ અને મિલેટ પિઝાનો આસ્વાદ માણી શકશે.આ ઉપરાંત મિલેટ દહીંવડા, ફ્રાઈડ રાઈસ, ખીર, પરંપરાગત બાજરાના રોટલા અને ઓળો, મિલેટ ડ્રિંક્સ તથા લાઈવ ખીચું જેવી અવનવી વાનગીઓ પણ ઉપલબ્ધ રહેશે.
આ કાર્યક્રમમાં મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પ્રોડક્ટ્સના પ્રદર્શન અને વેચાણ માટેના વિશેષ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. મહોત્સવ દરમિયાન મિલેટ એક્ઝિબિશન, કૃષિ વિષયક પરિસંવાદો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી કમિશ્નર ડી.એમ. મોદી, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુ પૂર્વ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.


