ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જામનગર, આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા, જામનગર ખાતે 7 અને 8 માર્ચ 2026ના રોજ આયુરસવાદોત્સવ 2026થી એક આયુર્વેદ આહાર-વાનગીને લગતો એક્સપો જામનગરની જનતા માટે ખુલ્લો મુકાયો છે.

તા. 7 માર્ચના સવારે 10 વાગ્યે ધન્વંતરિ મેદાન ખાતે ITRA સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામના કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનંત વિભૂષિત કૃષ્ણમણીજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે થયું હતું અન્ય મહાનુભાવોમાં ભારત સરકારના ચીફ કંટ્રોલર ઓફ એકાઉન્ટ, આરોગ્ય પરિવાર કલ્યાણના જસપાલ કૌર, ડો . જોગીન જોશી, ગુલાબકુંવરબા સોસાયટીના કીર્તિભાઈ ફોફરીયા, WHO GTMCના ટેકનિકલ ઑફિસર ડો. વિનયકુમાર ઉપસ્થિત રહ્યાં હતા.
આઈ. ટી. આર. એ. ના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી જણાવે છે કે ITRA ફાર્મસી શિક્ષણ વિભાગને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે તા. 7 અને 8 માર્ચના રોજ ધન્વંતરિ મેદાન ખાતે એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદના સિધ્ધાંતોને આધારે વિવિધ પ્રકારના ખાનપાનના વ્યંજનોનો લાભ મેળવી શકાશે સાથો સાથ ફાર્મસીના હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આયુર્વેદ આધાર પર ઉત્પાદિત હર્બલ અને કોસ્મેટિક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ: વેચાણ પણ ઉપલબ્ધ છે.
30 હજાર ફૂટ જગ્યામાં વિશાળ એ. સી. ડોમ અને 32 પેગોડા (તંબુ)માં યોજાનાર આ આયુર્વેદ એક્સપોમાં 52 જેટલા સ્ટોલ છે, 150 પ્રકારની વિવિધ વાનગીઓ લોકોને સ્વાદ સ્વાસ્થ્યની દિવાનગી જગાવી રહી છે. લાઈવ ફૂડ આઈટમ, પેકેજ ફૂડ આઈટમ, સૂપ, સ્ટાર્ટર, આરોગ્યપ્રદ પીણાઓ, આયુર્વેદ રેસીપી, કોસ્મેટીક અને હેલ્થ પ્રોડક્ટ્સનો પણ એક અલગ વિભાગ છે જેમાં ITRA ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કર્યું છે તેઓની ચીજવાસ્તુઓનું વેચાણ પણ ઉપલબ્ધ છે.
આ એક્સ્પો ભારત સરકારના વિવિધ પ્રકલ્પ વોકલ ફોર લોકલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, વિકાસ ભી વિરાસત ભી, હર ઘર સ્વદેશી, સ્કીલ ઇન્ડિયાને અનુમોદન અને પીઠબળ સમાન સાબિત થશે. આ એક્સપોની મુલાકાત લેનાર સૌ કોઈને આયુર્વેદ આહાર વિહાર, ખાનપાન, સ્વસ્થ જીવનશૈલી, પ્રકૃતિ પરીક્ષણ, શ્રમ પરીક્ષણ કરી આપવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન WHO GTMC ની એક પ્રદર્શન ગેલેરી તૈયાર કરવામાં આવી છે જયાં ગેલેરીમાં વૈશ્વિક કક્ષાએ પરંપરાગત ચિકિતસાઓની માહિતી અને રોચક બાબતો વિષે મુલાકાતીઓને WHO GTMC દ્વારા માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. એક્સપોના સંયોજક તરીકે પ્રો. જોબન મોઢા જવાબદારી નિભાવી રહ્યાં છે.


