જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક મધ્યરાત્રિના સમયે હોટલ પાસેથી પસાર થતાં યુવાનને પુરપાટ આવી રહેલી કારના ચાલકે ઠોકરે ચઢાવતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવાનનું મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ મૂળ ખેડા જિલ્લાના ગળતેશ્ર્વર તાલુકાના ડભાલી ગામનો વતની મણીભાઇ દેસાઇભાઇ રાઠોડ (ઉ.વ.48) નામનો યુવાન ગત્ તા. 11ના રોજ મદ્યરાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર તાજ હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે રાજકોટ તરફથી પુરપાટ આવી રહેલી જીજે03 ઇએલ 3218 નંબરની કારના ચાલકે યુવાનને ઠોકરે લઇ હડફેટ ચઢાવતાં રોડ પર પટકાયેલા યુવાનને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું સોમવારે રાત્રિના મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ મહેન્દ્ર દ્વારા જાણ કરાતાં એએસઆઇ બી. જે. ગાગિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


