જામનગર તાલુકાના હડમતિયા ગામમાં મકાનનો કબ્જો આપતા ન હોવાનો ખાર રાખી દંપતિએ વૃદ્ધ પિતા સાથે ઝપાઝપી કરી લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે વૃદ્ધ પિતાની ફરિયાદના આધારે પુત્ર તથા પુત્રવધૂ વિરૂઘ્ધ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાને શર્મસાર કરતી મારામારીની બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના હડમતિયા ગામમાં રહેતાં અને ખેતી કરતાં લાખાભાઇ રવાભાઇ સંઘાણી (ઉ.વ.82) નામના વયોવૃદ્ધ તેના મકાનનો કબ્જો તેના નરાધમ પુત્ર વૃજલાલ લાખા સંઘાણીને આપતા ન હોવાનો ખાર રાખી ગત્ તા. 11ના રોજ બપોરના સમયે વૃજલાલ સંઘાણી તથા તેના પત્ની ગીતાબેનએ લાખાભાઇના ઘરે જઇ વૃદ્ધ માતા-પિતા સાથે ઝપાઝપી અને બોલાચાલી કરી વૃજલાલએ તેના વયોવૃદ્ધ પિતા ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી પછાડી દીધા હતા. ત્યારબાદ પુત્ર અને પુત્રવધૂએ વૃદ્ધને ઢીકાપાટુનો માર મારી શરીરે તથા માથામાં ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
હુમલાના બનાવમાં ઘવાયેલા વૃદ્ધ લાખાભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. સી. આર. ઘાઘરેટિયા તથા સ્ટાફએ નરાધમ પુત્ર તથા પુત્રવધૂ વિરૂદ્ધ વૃદ્ધ પિતાનું નિવેદન નોંધી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનિય છે કે, પશ્ર્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણની દોટમાં સંતાનો માતા-પિતા અને વડિલોના માન સન્માન જાળવવાનું ભૂલી ગયા છે. આંધળા અનુકરણમાં માતા-પિતાની મર્યાદા તથા પરિવારની આબરૂ નેવે મૂકી દીધી છે. હડિયાણા ગામની ઘટનાએ સમગ્ર હાલારને હચમચાવી દીધું છે. માતા-પિતાની સેવા કરવાની વાત તો દૂર રહી, પરંતુ આ ઘટનામાં મકાનનો કબ્જો ન આપતા વયોવૃદ્ધ પિતા ઉપર નરાધમ પુત્ર અને તેની પત્નીએ પિતાને માર મારી ધમકી આપ્યાના બનાવથી હાલારમાં ચકચાર મચી જવા પામી છે.


