કાલાવડ ગામમાં રહેતી યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ તેના માવતર સાથે સંબંધો તોડી નાખ્યા હતા. ત્યારબાદ યુવતીના પરિવારના સભ્યની ખબર અંતર પૂછવા ગયેલા પતિ સાથે બોલાચાલી થતાં યુવતિએ એસિડ પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા (વડાળી) ગામના વતની અને હાલ કાલાવડમાં માછરડા સોસાયટીમાં રહેતી નિતાબેન ભરતભાઇ પરમાર (ઉ.વ.30) નામની યુવતીએ ભરતભાઇ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ યુવતીએ તેના સગાવહાલાઓ સાથે સંબંધો તોડી નાખ્યા હતા. દરમ્યાન યુવતીનો પતિ ભરત તેણીના પરિવારના મોટાભાઇના દીકરાના ખબર અંતર પૂછવા થયો હોવાથી યુવતીએ તેના પતિને મેં સંબંધો તોડી નાખ્યા છે. તમે પણ મારા સગાવ્હાલાઓ સાથે સંબંધ તોડી નાખો. તે બાબતે દંપતિ વચ્ચે બોલાચાલી થયા બાદ ભરત નોકરીએ જતો રહ્યો હતો. અને જમવા પણ આવ્યો ન હતો. દરમ્યાન નિતાબેનએ તેના ઘરે બુધવારે બપોરના સમયે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ ભરત દ્વારા જાણ કરાતા પીએસઆઇ એન. વી. આંબલિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


