રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તમામ મહાનગર પાલિકાઓના પદાધિકારીઓ અને કમિશનરોની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. વિકાસના કામોની સમીક્ષા કરવા માટે મળેલી આ બેઠક ત્યારે ચર્ચાનું કેન્દ્ર બની જ્યારે નગરસેવકોએ અધિકારીઓની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવ્યા. જન પ્રતિનિધિઓની વ્યથા સાંભળીને સૌમ્ય ગણાતા મુખ્યમંત્રીનો મિજાજ અચાનક ગરમ થઈ ગયો હતો અને તેમણે વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી. બેઠક દરમિયાન વિવિધ કોર્પોરેશનના નગરસેવકોએ ફરિયાદ કરી હતી કે, અધિકારીઓ લોકોના પ્રશ્નોને ગંભીરતાથી લેતા નથી. અનેકવાર ફોન કરવા છતાં અધિકારીઓ રીસીવ કરતા નથી અને વોર્ડ સંકલનની બેઠકો માત્ર કાગળ પર રહી ગઈ છે.
જોઈ લેશું જેવા ગોળગોળ જવાબો આપીને લોકોની પાયાની જરૂરિયાતોને અભરાઈએ ચડાવી દેવામાં આવે છે. જનપ્રતિનિધિઓની આ રજૂઆત સાંભળી મુખ્યમંત્રીએ કહ્યું કે, જો અધિકારી લોકોના કામ માટે ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન ન ઉપાડે તો તે સાંજે જ રાજીનામું આપી દે, આવી મનમાની સાંખી લેવાશે નહીં. મુખ્યમંત્રીએ આ વખતે માત્ર નાના કર્મચારીઓ જ નહીં પણ મ્યુનિસિપલ કમિશનરો સામે પણ લાલ આંખ કરી હતી. તેમણે કડક સૂચના આપતા જણાવ્યું કે, પ્રજાના કામમાં રૂકાવટ લાવતા બેજવાબદાર અધિકારીઓનું કમિશનરે તત્કાલિક રાજીનામું માંગી લેવું જોઈએ. CMએ ત્યાં સુધી કહી દીધું કે જો કોઈ કમિશનર આવા મનસ્વી અધિકારીઓ પર કાબૂ રાખવામાં કે પગલાં લેવામાં નિષ્ફળ જાય, તો તેમણે પોતે પણ પદ છોડવા તૈયાર રહેવું પડશે. શાસન અને વહીવટ વચ્ચેના સંકલનમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં.


