કરવ્યવસ્થા, જીએસટી તથા વ્યવસાયની સતત બદલાતી અને પડકારસભર પરિસ્થિતિમાં અદ્યતન જાણકારી રાખવી આજના સમયમાં અત્યંત જરૂરી બની ગઈ છે. ખાસ કરીને જીએસટી અંતર્ગત ફેક ઇનવોઇસ, બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ જેવા ગંભીર મુદ્દાઓ, તેના કાયદાકીય પરિણામો, અદાલતોના દ્રષ્ટિકોણ તથા ભવિષ્યમાં તેની અસર અંગે યોગ્ય જ્ઞાન હોવું દરેક વ્યવસાયિક અને કર સલાહકાર માટે અનિવાર્ય છે. આ ઉપરાંત આજના યુવા યુગમાં એઆઈ નો વ્યવસાય, વેપાર અને પ્રોફેશનમાં વ્યવહારુ તથા સમજદારીપૂર્વક કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવાના હેતુસર જામનગર ટેક્સ બાર એસોસિએશન તથા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા તા. ૩૦/૦૧/૨૦૨૬ (શુક્રવાર)ના રોજ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના ઓડિટોરિયમ ખાતે ઉપયોગી હાફ-ડે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનાર વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કર સલાહકારો, એકાઉન્ટિંગ ક્ષેત્રના વ્યાવસાયિકો, વેપારીઓ તથા વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયક સાબિત થયો. સેમિનારમાં અનુભવી નિષ્ણાતો દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાસ્તવિક અનુભવ આધારિત માર્ગદર્શન અને વ્યવહારુ ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન આજના ડિજિટલ યુગમાં AI કેવી રીતે વ્યવસાય અને પ્રોફેશનને વધુ સરળ, ઝડપી અને અસરકારક બનાવી શકે, દૈનિક કાર્યમાં એઆઈ આધારિત સાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તથા આવનારા સમયમાં આ ટેકનોલોજીનું મહત્વ શું રહેશે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે સાથે જીએસટીમાં ફેક ઇનવોઇસ અને બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધિત મુદ્દાઓ, તપાસ પ્રક્રિયા, સંભવિત આરોપો અને આવા કેસોમાં કાયદેસર રીતે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ સેમિનારમાં ખાસ કરીને અમદાવાદથી પધારેલા જાણીતા નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પુનિત પ્રજાપતિ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રીધર શાહ દ્વારા ઊંડાણપૂર્વક અને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમના અનુભવ આધારિત માર્ગદર્શનને ઉપસ્થિત સૌએ ખૂબ પ્રશંસનીય ગણાવ્યું.
કાર્યક્રમમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કર સલાહકારો, કંપની સેક્રેટરી, વકીલો, વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જે સેમિનારની સફળતા દર્શાવે છે.
આ પ્રસંગે જામનગર ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી આશુતોષ ઠક્કર, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના પ્રમુખ પ્રેમ ઠક્કર તથા પ્રોજેક્ટ ચેરમેન અલ્પેશ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આવા સેમિનારો દ્વારા કરવ્યવસ્થા અને નવી ટેકનોલોજી અંગે જાગૃતિ ફેલાવવી આજના સમયની આવશ્યકતા છે અને આવનારા સમયમાં પણ આવા ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.


