નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ દૂર કરવા અંગે વિસ્તારના નિવાસીઓ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વકીલ રહેવાસીઓ સાથે કલેકટર કચેરી ખાતે પહોંચી ઘંટ વગાડી નવતર વિરોધ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ બાબતે ત્યાંના રહિશો દ્વારા અગાઉ મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઇ ઉકેલ આવતો ન હોય કલેકટર કચેરી ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી. નંદધામ સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે, નંદધામ સોસાયટી વોર્ડ નંબર 1પમાં સાર્વજનિક કોમન પ્લોટ જેનું ક્ષેત્રફળ 516.43 નોંધાયલ છે. આ કોમન પ્લોટવાળી જગ્યા પ્લોટધારકોને કોમન પ્લોટ તરીકે ફાળવેલ છે. જે જગ્યામાં કેટલાંક લોકો દ્વારા દબાણ કરવામાં આવેલ છે. જે અંગે મહાનગરપાલિકા દ્વારા શો-કોઝ નોટીસ આપવામાં આવેલ હતી. સોસાયટીના રહીશોની ફરિયાદ છે કે, કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ થયેલ છે. જે બાબતે મહાનગરપાલિકાએ નોટીસ આપ્યા બાદ પણ કોઇ કાર્યવાહી કરી નથી. ગેરકાયદેસર થયેલ આ બાંધકામને દૂર કરવા લેખિત રજુઆત કરી છે. જો આ કાર્યવાહી તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો ગાંધી ચિંઘ્યા માર્ગે કાર્યવાહી કરવાની ચિમકી રહીશોએ ઉચ્ચારી હતી. નંદધામ સોસાયટી એસોસીએશનના વકીલ પી.આર. જોષીની આગેવાની હેઠળ રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


