જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં કામ કરતા સમયે થે્રશર મશીનમાં આવી જતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના રબાની કેડાની બાજુમાં રહેતાં આશિખભાઈ જમનભાઈ જગતિયા (ઉ.વ.27) નામનો યુવાન ગત તા.30 ના રોજ રાત્રિના સમયે ગામની સીમમાં આવેલી ભીખુભાઇ ભાણજીભાઈના ખેતરમાં ખેતી કામ કરતો હતો તે દરમિયાન થે્રશર મશીનમાં આવી જતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરૂવારે સાંજના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હરજીવનભાઈ જગતિયા દ્વારા જાણ કરવામાં આવતા બી.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


