ભાણવડ પંથકના 69 જેટલા ધાર્મિક સ્થળોનું ડિમોલીશન કરી નાખવાની ફાળવેલ નોટિસ સામે પંથકમાં રોષ ફાટી નિકળ્યો છે. બનાવના વિરોધમાં ભાણવડ સમસ્ત હિન્દુ સમાજે ધંધા રોજગાર બંધ રાખી વિશાળ રેલી કાઢી હતી. મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકારે કરેલી જાહેરાતને રદ્દ કરવા બુલંદ માંગ કરી હતી.
રેલીને લઇને બપોર પછી ભાણવડના પ્રસિધ્ધ દુધેશ્ર્વર મંદિરે એકઠા થયા હતાં. ત્યારબાદ હિન્દુ સંગઠને રેલીનો પ્રારંભ કર્યો હતો. રેલી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી વળી હતી. આ તકે મામલતદારને રોષ વ્યકત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવાયું છે કે, ભાણવડ પંથકના ધાર્મિક સ્થળો ખૂબ જ પુરાણા છે જેમાં કેટલાંકનો આઝાદી પહેલાંના છે. ધાર્મિક સ્થળો સાથે લોકોની આસ્થા જોડાયેલ છે. ઉપરાંત હિન્દુ મંદિરોમાં લોકો દેવ દર્શન સહિતનો લાભ મેળવી રહ્યા છે તો કેટલાંક ધાર્મિક સ્થળોમાં તહેવારોની રંગેચંગે ઉજવણી થતી હોય છે.
ત્યારે આવી બાબતોને ધ્યાનમાં લેવાને બદલે ધાર્મિક સ્થળોનું ડિમોલીશન કરવા માટે નોટિસો પણ આપી દીધાના બનાવથી સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. આમ ડિમોલીશન નહીં કરવાના અંતમાં સમસ્ત હિન્દુ સમાજે પ્રબળ માંગ સાથે રજૂઆત કરી હતી. રેલી તેમજ આવેદન પત્ર આપતી વેળાએ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે રેલી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી.


