આજથી 42 વર્ષ પહેલા મોરબીમાં આવેલા જળપ્રલયને લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી. ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતા. પરંતુ આજે 42 વર્ષ બાદ મચ્છુ-2 ડેમ માત્ર મોરબીના જ નહી પરંતુ આજુબાજુના જીલ્લાના લોકો માટે પણ જીવાદોરી સમાન બન્યો છે. આજે પણ આ હોનારતને યાદ કરતા લોકો રડી પડે છે. આ પ્રલયમાં લોકોના મકાન, ઘર, માલ મિલકત સંપત્તિ, સ્વજનો બધું તણાઈ ગયું છતાં પણ મોરબીના લોકોની હિંમત ન તૂટી અને. શૂન્ય માંથી સર્જન કરી આજે મોરબી અનેક ક્ષેત્રમાં આગળ છે.
તારીખ 11 ઓગસ્ટ, 1979 જયારે અવિરત મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ પાણીના સખત પ્રવાહને જીલી શક્યો નહોતો અને ડેમની એક દીવાલ તૂટી પડતા મહાપ્રલય સર્જાયો હતો. આવો પ્રલય લોકોએ ક્યારેય ન હતો જોયો કે કલ્પના પણ કરી ન હતી.
11 ઓગસ્ટના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો મારફતે લોકોને ચેતવણી આપવામાં આવી કે અવિરત વરસાદના પરિણામે મચ્છુ-2 ડેમ ભયજનક બન્યો છે. અને લોકોને સલામત જગ્યાએ જવા અપીલ કરવામાં આવી હતી. અને બાદમાં સંદેશાવ્યવહાર ઠપ્પ થઇ જતા મચ્છુ ડેમ તુટ્યો હોવાની લોકોને જાણ ન થઇ અને લોકો કંઈ વિચારે તે પહેલા તો પાણીનો પ્રવાહ મોરબીના લોકોને તાણી ગયો અને વિનાશ સર્જી નાખ્યો. આ પ્રલયમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો તે રહસ્ય હજુ પણ અકબંધ છે. સરકારી રીપોર્ટ અને જુદા-જુદા સર્વેક્ષણ પ્રમાણે 2000 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજ છે.
પરંતુ આજે 42 વર્ષ બાદ મોરબીનો આ મચ્છુ ડેમ મોરબી સહીત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાના લોકોની જીવાદોરી સમાન બન્યો છે. અને ના સ્થાનિક ડેમમાં પીવા અને સિંચાઇ માટેનું પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને આજે મોરબી અનેક ક્ષેત્રે અગ્રેસર છે. મોરબીમાં આજે 800થી વધુ સિરામિક ફેક્ટરી છે. માત્ર સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર 45 હજાર કરોડથી વધુ છે. અંતે કહી શકાય કે પ્રલય બાદ મોરબીમાં શૂન્ય માંથી સર્જન થયું છે.