લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામની સીમમાં આવેલા ખેતરમાંથી પસાર થતાં પીજીવીસીએલના 415 વોલ્ટની એલટી લાઇનના પોલના તાણિયામાં અડી જતાં વીજશોક લાગતાં મહિલાનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતાં અને ખેતી કરતાં ભાનુબેન મોહનભાઇ ધારવિયા (ઉ.વ.50) નામના મહિલા રવિવારે સાંજના સમયે તેના ખેતરમાં ખેતીકામ કરતાં હતાં. તે દરમ્યાન ખેતરમાંથી પસાર થતાં જીઇબીના 415 વોલ્ટન એલટી લાઇનના પોલમાં લગાવેલ તાણિયામાં સ્ટ્રેટ ઇન્સ્યુલેશન લગાવેલું ન હોવાથી મહિલા ચાલુ લાઇનના વાયર તાણિયા સાથે અડી જતાં વીજ પ્રવાહ શરૂ થઇ જતાં બેશુદ્ધ થઇ ગયા હતા. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મિતુલભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી. ડી. જાડેજા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ આદરી હતી.


