જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતી મહિલાને બ્લેકમેઇલ કરવાનો આરોપ મૂકી ત્રણ શખ્સોએ મહિલાના ઘરે જઇ પ્લાસ્ટીકના પાઇપ તથા લાકડાના બટકા વડે હુમલો કરી ગામ છોડી દેવાની ધમકી આપ્યાનું મનમાં લાગી આવતાં મહિલાએ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતાં વિરમભાઇ ભીખાભાઇ ગોઢાણિયા (ઉ.વ.31) નામના યુવાનની પત્ની લીલુબેનને ગામમાં જ રહેતાં રણમલ ઉર્ફે કારા ભીમા પરમાર નામના શખ્સે બ્લેકમેઇલ કરવાનો આરોપ મૂકયો હતો અને ત્યારબાદ અરજણ કેશુ પરમાર, નાગા કેશુ પરમાર નામના બે શખ્સોએ લીલાને ઘરે મોકલી તેના પર પ્લાસ્ટીકના પાઇપ તથા લાકડાના બટકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. અને જેમ ફાવે તેમ ગાળો કાઢી ગામ મૂકી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકી આપ્યાનું મનમાં લાગી આવતા લીલુબેને ગત્ તા. 18ના સાંજના સમયે તેના ઘરે મકાનની છતના હૂકમાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યાના બનાવમાં વિરમભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. એલ. ઓડેદરા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂદ્ધ મરી જવા માટે મજબૂર કર્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


