ન્યુ જામનગરના માણેક નગર, ગીતાજંલી પાર્ક સહિતના જામનગર શહેરના અનેક વિસ્તારોમાં અતિશય ઉંચાઇ વાળા અને પરવાનગી વિના બનાવવામાં આવેલ સ્પીડબ્રેકરો દૂર કરવા માણેક નગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા એસ્ટેટ ઓફીસરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગ ઉપર તો ઠીક શેરી-ગલીઓમાં પણ આડેધડ સ્પીડબ્રેકર બનાવી નાખવામાં આવે છે. ગેરકાયદેસર સ્પીડ બ્રેકર હોવાની સાથે તેની ઉંચાઇ પણ વધુ હોય વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે તેમજ અકસ્માતોનો ભય પણ વધી જાય છે. ન્યુ જામનગર વિસ્તારના માણેક નગર તથા ગીતાજંલી પાર્કના રોડ નં.3 થી 6 અને માણેક નગર 3 અને 5 ઉપર અનેક સ્પીડબ્રેકરો બનાવવામાં આવ્યા છે તેમાંથી કેટલાક સ્પીડ બ્રેકરો યોગ્ય મંજુરી વિના બનાવાયા છે. તેમજ કેટલાકની ઉંચાઇ પ્રમાણસર કરતા વધુ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને વાહનોને નુકશાન થવાની શકયતા વધુ રહે છે. કેટલીક જગ્યાએ આશરે 100 મીટરના અંતરમાં 3થી 4 સ્પીડ બ્રેકરો બનાવવામાં આવેલા હોવાથી રસ્તા ઉપર અનાવશ્યત અવરોધ ઉભો થાય છે.
આ પરિસ્થિતી વડીલો, સગર્ભા મહિલા, દર્દીઓ તથા બાળકો માટે મુશ્કેલ જનક બની શકે છે. તેમજ ઇમરજન્સી પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ સહિતના વાહનોમાં વિલંબ થઇ શકે છે તેમ માણેક નગર સોસાયટીના રહેવાસીઓએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે અને આ તમામ રસ્તા ઉપર બનાવવામાં આવેલ સ્પીડ બ્રેકરોનું સ્થળ નિરીક્ષણ કરવા, સ્પીડબ્રેકરો માટે જરૂરી સતાવાર મંજુરી લેવામાં આવે છે કે નહીં તેની તપાસ કરવા, ગેરકાયદેસર તથા અતિશય ઉંચાઇ વાળા અને બીનજરૂરી સ્પીડબ્રેકરો દૂર કરવા, કરવામાં આવેલ કાર્યવાહી અંગે સ્થાનીક રહેવાસીઓને જાણ કરવા માંગણી કરાઇ છે.
આ સમસ્યા માત્ર રજૂઆત કરનાર લોકો પુરતી જ સીમીત નથી શહેરના અનેક વિસ્તારોમાં આ સમસ્યા લોકોને સતાવી રહી છે. આથી આ અંગે નિરાકરણ થાય તે જરૂરી છે.


