જામનગરમાં જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. પર્યુષણ પર્વ દરમિયાન જૈન દૈરાસરો અને ઉપાશ્રયોમાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, આંગી દર્શન, પ્રવચનો સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પર્યુષણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ ઉપરાંત ઉપવાસ, તપ કરી પર્યુષણ પર્વ નિમિત્તે પુજા-અર્ચના કરી રહ્યા છે. જામનગરમાં પર્યુષણ પર્વ નિમિત્તે દેરાસરોમાં આંગી દર્શન સહિતના કાર્યક્રમો થઈ રહ્યા છે. શાલીભદ્રનગરમાં પર્યુષણ પર્વના ત્રીજા દિવસે મોરપીંછની આંગીના દર્શન યોજાયા હતાં. આ ઉપરાંત શાલીભદ્રનગરમાં એક દિવસ દિવાની રોશનીના ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના શેઠજી જૈન દૈરાસરમાં પણ આંગી દર્શન યોજાયા હતાં. જૈન શ્રાવક-શ્રાવિકાઓ દેરાસરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવાની સાથે આંગી દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.



