ઓખામંડળના પોશિત્રા બંદરમાં રહેતી મહિલા વાડીના ખુલ્લા પ્લોટમાં પડેલા કચરામાં લાગેલી આગ ઓલાવવા જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આગમાં દાઝી ગયેલા મહિલાનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ ઓખા મંડળના પોશીત્રા વિસ્તારમાં રહેતા સકીનાબેન કાસમભાઈ સમા નામના મહિલાને છેલ્લા પાંચ-સાત વર્ષથી બંને પગમાં તકલીફ હતી. જેથી તેઓ લાકડીના સહારે ચાલતા હતા. આ વચ્ચે ગઈકાલે સોમવારે તેમની વાડીએ રહેલા ખુલ્લા પ્લોટમાં કચરો સળગાવવા જતા તેનું તણખલું બાજુમાં પડેલા નીરણના ઢગલામાં પડી જતા નિરણના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી.
આ આગ સકીનાબેન ઓલવવા જતા અથવા અન્ય કોઈ રીતે નીરણના ઢગલા માથે પડી જતા તેણીનું ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કાસમભાઈ નુરમામદભાઈ સમાએ કરતાં ઓખા મરીન પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


