Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયકુંભમેળો બંધ રાખવા PMની અપીલ

કુંભમેળો બંધ રાખવા PMની અપીલ

70થી વધુ સાધુઓ સહિત હજારો શ્રધ્ધાળુઓ સંક્રમિત થઇ ચૂકયા છે

- Advertisement -

હરિદ્વારમાં ચાલતા કુંભમાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની કોરોના સંક્રમિત થવાના ન્યૂઝ આવ્યા પછી પ્રશાસને પગલાં લેવાનું નક્કી કર્યું છે. ઘણા અખાડા પહેલેથી જ કુંભમાંથી પરત ફરવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ વિશે હવે વડાપ્રઘાન મોદી દ્વારા પણ એક મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

- Advertisement -

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે ફોન પર વાત કરી છે. દરેક સંતના સ્વાસ્થ્યની માહિતી લીધી છે. દરેક સંતગણ પ્રશાસનને દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે. મેં એ માટે સંતજગતનો આભાર માન્યો છે.

વડાપ્રધાને આગળ કહ્યું હતું કે મેં વિનંતી કરી છે કે બે શાહી સ્નાન થઈ ગયાં છે, તેથી હવે કુંભને કોરોના સંકટમાં પ્રતીકાત્મક જ રાખવામાં આવે. એનાથી સંકટ સામે લડાઈ લડવામાં તાકાત મળશે. વડાપ્રધાન મોદીએ આ વિશે ટ્વીટ કર્યું છે.

- Advertisement -

વડાપ્રધાનના નિવેદન પર જવાબ આપતાં મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિએ કહ્યું હતું કે માનનીય વડાપ્રધાનજીની અપીલનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને બીજાના જીવની રક્ષા કરવી ખૂબ મહત્ત્વની છે. મારો ધર્મ પરાયણ જનતાને આગ્રહ છે કે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એના નિયમો અને ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવે.

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નિરંજની અખાડાએ 15 દિવસ પહેલાં જ કુંભમેળો બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. આ અખાડાના 17થી વધારે સાધુ સંક્રમિત થયા હતા. અખાડાના સચિન રવીન્દ્ર પુરી પોતે પણ સંક્રમિત થયા હતા. અત્યારસુધી કુંભમેળામાં સામેલ થનારા 70થી વધારે સાધુ-સંત કોરોના સંક્રમિત નોંધાયા છે. મોટી સંખ્યામાં સંતોનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. બે દિવસ પહેલાં જ અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવદાસનું નિધન પણ થયું છે.

- Advertisement -

ઉત્તરાખંડમાં આસ્થાના મહાકુંભ વચ્ચે હવે કોરોનાનો કુંભ પણ શરૂ થઈ ગયો છે. એક મહિનાની અંદર રાજ્યમાં કોરોનાના દર્દીઓ મળી આવવાની ગતિમાં 8841%નો વધારો નોંધાયો છે. બગડતી જતી સ્થિતિનું અનુમાન એ વાતથી લગાવી શકાય કે જ્યાં ફેબ્રુઆરીમાં અહીં દરરોજ 30થી 60 લોકો સંક્રમિત મળતા હતા, એ સંખ્યા હવે વધીને 2,000થી 2,500એ પહોંચી ગઈ છે. આંકડાનું એનાલિસિસ કરવામાં આવે તો એવું લાગે છે કે આ તો હજુ શરૂઆત છે. આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ભયજનક બની શકે છે.

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, આ વચ્ચે કુંભમેળો યથાવત્ રાખવાના મુદ્દે સવાલો ઊઠી રહ્યા હતા. દેશમાં ગુરુવારે કોરોનાના 2 લાખ નવા કેસ સામે આવ્યા. આ મહામારી શરૂ થઈ ત્યારથી અત્યારસુધીનો આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. બીજી તરફ, કુંભમાં લાખો લોકોની ભીડ એકઠી થઈ રહી છે. બુધવારે શાહી સ્નાનમાં 14 લાખ લોકો સામેલ થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular