NEET-UG 2026 પરીક્ષા આજે બપોરે 2:00 વાગ્યાથી જામનગર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. પરીક્ષાનું આયોજન પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કલેક્ટર પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
પરીક્ષા શરૂ થવાના સમય પૂર્વે જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા તંત્ર દ્વારા એસટી બસ સ્ટેન્ડ ખાતેથી પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પહોંચવા માટે સુવિધા કરવામાં આવી છે. ઉમેદવારોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્રો પર માર્ગદર્શન વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, આરોગ્ય સુવિધા, વીજ પુરવઠો તેમજ અન્ય આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોના પ્રવેશ અને દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા નિયમો અનુસાર હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ, પોલીસ, આરોગ્ય સહિતના સંબંધિત વિભાગો દ્વારા પરસ્પર સંકલન સાથે કામગીરી કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો ખાતે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
View this post on Instagram
પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો, ટ્રાફિક વ્યવસ્થા, તાત્કાલિક આરોગ્ય સેવા તથા અન્ય આવશ્યક સેવાઓ કાર્યરત રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા તેમજ પરીક્ષાના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લામાં NEET-UG પરીક્ષાનું આયોજન સુચારૂ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સમગ્ર તંત્ર સતર્કતાપૂર્વક કામગીરી કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં પાંચ કેન્દ્રો જેમાં વાલસુરા, જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા, કેન્દ્રીય વિદ્યાલય-૧ એરફોર્સ સ્ટેશન-૧, કેન્દ્રીય વિદ્યાલય-૨, જેલ રોડ તથા ડીકેવી કોલેજ ખાતે બપોરે ૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૧૫ વાગ્યા સુધી પરીક્ષા યોજવામાં આવશે.


