જામનગરમાં શ્રાવણી મેળાના બાકી રહેલ 16 પ્લોટ માટે બુધવારે જાહેર હરરાજી યોજાઇ હતી. જેમાં મશીન મનોરંજનના 6, ફૂડઝોનના 6, આઇસક્રીમના 2, પોપકોર્ન અને ચિલ્ડ્રન રાઇડ્સ માટે એક-એક પ્લોટની હરરાજી યોજાઇ હતી. પારદર્શિતા માટે સમગ્ર કાર્યવાહીનું વિડિયો રેકોર્ડિંંગ પણ કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં નાના મોટા કુલ 43 પ્લોટ્સ માટે મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં 35 પ્લોટ માટે ઓફલાઇન અને આઠ મોટા પ્લોટ માટે ઓનલાઇન ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. આ ટેન્ડર ખોલવાની પ્રક્રિયા દરમ્યાન કેટલાંક પ્લોટ માટે સિંગલ ટેન્ડર આવ્યા હતાં. જે ખોલવામાં આવ્યા ન હતાં. ત્યારબાદ 27 પ્લોટની ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ બાકી રહેલા 16 પ્લોટ માટે ઓપન હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પારદર્શિતા જાળવી રાખવા માટે વિડિયો રેકોર્ડિંગ સહિતના પગલાં લેવામાં આવ્યા હતા.
View this post on Instagram
જામનગર મહાનગરપાલિકાને બુધવારે યોજાયેલા 16 પ્લોટ પૈકી 12 પ્લોટમાં હરરાજી પૂર્ણ થઇ હતી. જ્યારે હજુ ચાર પ્લોટ માટે બોલી ન લાગતા તેની કાર્યવાહી બાકી રહી હતી. 12 પ્લોટ માટે રૂપિયા 65 લાખની બોલી બોલાઇ હતી. જ્યારે અગાઉ થયેલ 27 પ્લોટ માટે જામનગર મહાનગરપાલિકાએ રૂા. 1 કરોડ 4 લાખની આવક થઇ હતી. આમ, અત્યાર સુધીમાં કુલ 39 પ્લોટ માટે રૂા. 1 કરોડ 70 લાખની આવક થવા પામી છે. જ્યારે હજુ ચાર પ્લોટોની હરરાજીમાં બોલી ન બોલાતા તેની આવક બાકી છે.


