Friday, September 11, 2026
Homeસમાચારરાષ્ટ્રીયસ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ બોર્ડમાં ઈશા અંબાણીનો ટ્રસ્ટી તરીકે સમાવેશ

સ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ બોર્ડમાં ઈશા અંબાણીનો ટ્રસ્ટી તરીકે સમાવેશ

સ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ બોર્ડમાં ઈશા અંબાણીનો ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. સ્મિથસોનિયન્સ બોર્ડ ઓફ રિજન્ટ દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર, 2021થી અમલી બને તે રીતે ઈશા અંબાણી, કેરોલિન બ્રેમ તથા પીટર કિમેલમેનની ચાર વર્ષની વ્યક્ગિતત મુદ્દતને મંજૂરી આપી હતી. રીજન્ટ્સના બોર્ડના 17 સભ્યોમાં અમેરિકાના સર્વોચ્ચ ન્યાયાધિશ, અમેરિકાના ઉપ-પ્રમુખ, અમેરિકાની સેનેટના ત્રણ સભ્યો, અમેરિકાના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સના ત્રણ સભ્યો તથા 9 નાગરિકોનો સમાવેશ થાય છે, જે સ્મિથસોનિયનના વહીવટ માટે જવાબદાર છે.

આ નવી નિમણૂકો ઉપરાંત મ્યુઝિયમના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ તરીકે એન્ટોઇન વાન અગત્માઇલનો કાર્યકાળ ઓક્ટોબર 2023 સુધી લંબાવવામાં આવ્યો હતો. ડો. વિજય આનંદને બોર્ડના વાઇસ ચેર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને રાજદૂત પામેલા એચ. સ્મિથને બોર્ડના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ (asia.si.edu)એ સ્મિથસોનિયનનું પ્રથમ સમર્પિત આર્ટ મ્યુઝિયમ હતું અને નેશનલ મોલ પરનું પ્રથમ આર્ટ મ્યુઝિયમ હતું. 1923માં ફ્રીઅર ગેલેરી ઓફ આર્ટ તરીકેના પ્રારંભ બાદ તેણે તેના અભૂતપૂર્વ કલેક્શન્સ તથા એક્ઝિબિશન્સ, સંશોધન, કળા સંરક્ષણ અને સંરક્ષણ વિજ્ઞાનની સદીઓ જૂની પરંપરાના માધ્યમથી ઉત્કૃષ્ટતા માટે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા હાંસલ કરી છે. બોર્ડમાં નવા અને પુનઃનિમણૂક પામેલા હોદ્દેદારોની નિમણૂકનું પ્રયોજન એ છે કે મ્યુઝિયમ 2023માં તેની સ્થાપનાના 100 વર્ષની સીમાચહ્નરૂપ સિદ્ધિની ઉજવણી ઉપરાંત તેને આગામી સદી માટે સજ્જ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, જે મ્યુઝિયમની અસર અને પહોંચને ઓનસાઈટ અને ઓનલાઈન એમ બંને માધ્યમમાં વ્યાપક અને મજબૂત બનાવશે.

- Advertisement -

મ્યુઝિયમના ડેમ જિલિયન સેક્લર ડિરેક્ટર, ચેઝ એફ. રોબિન્સને જણાવ્યું હતું કે, “મ્યુઝિયમ અને સ્મિથસોનિયનમાંના મારા સહયોગીઓ વતી, હું આ લબ્ધપ્રતિષ્ઠિત નવા સભ્યોનું સ્વાગત કરીને તથા તેમની નિમણૂક કરવા બદલ અમારા અધિકારીઓને અભિનંદન પાઠવીને આનંદની લાગણી અનુભવું છું. . “તમામ કળા સંગ્રહાલયોએ, લોકોની નવી અપેક્ષાઓ અને નાણાકીય દબાણમાં વધારો થવા જેવા ઝડપથી વિકસતા સાંસ્કૃતિક પરિદૃશ્યોનો પ્રતિસાદ આપવાના પડકારનો સામનો કરવો પડે છે. એશિયાની કળાઓ અને સંસ્કૃતિઓને સમર્પિત સંગ્રહાલય માટે, ખાસ કરીને જેને ઘણી વાર એશિયન સદી તરીકે ગણવામાં આવે છે, તેમાં વિશેષ તકો અને જવાબદારીઓ રહેલી છે.

2023માં આપણે આપણાં સો વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ પ્રતિભાશાળી નવા સભ્યો અને અધિકારીઓનું વિઝન અને જુસ્સો આપણા કલેક્શન અને કુશળતાને વધુ સુલભ અને આકર્ષક બનાવવા, અમારા સંગ્રહને વિસ્તૃત કરવા અને એશિયન કલાઓ અને સંસ્કૃતિઓને સમજવા અને ઉજવણી કરવામાં અન્ય લોકો સાથે જોડાવાના અમારા પ્રયાસોને વેગ આપશે. અમારું બોર્ડ પહેલા કરતા વ્યાપક અને વધુ વૈવિધ્યસભર છે. હું ટ્રસ્ટીઓ સાથે કામ કરવા અને તેમની સેવા માટે આભાર વ્યક્ત કરવા આતુર છું.”

- Advertisement -

બોર્ડ વતી વાન અગત્માઇલે કહ્યું હતું કે, “ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ તરીકે, મને અમારા નવા અને પુનઃનિમાયેલા સભ્યોને આવકારતા આનંદ થાય છે જેઓ અમારા બોર્ડની કામગીરીમાં કુશળતા અને વધુ વિવિધતા લાવશે.
ઇશા અંબાણી, મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જિયો)ના ડાયરેક્ટર છે. જે ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, રિટેલ અને ડિજિટલ સેવાઓમાં કાર્યરત ભારતભરના બિઝનેસીસની માલિકી ધરાવે છે. 2011માં દેશમાં ઈન્ટરનેટની અત્યંત ધીમી ઝડપ જોયા બાદ, તેમણે 2016માં જિયોના લોકાર્પણનું નેતૃત્વ કર્યું, અને ઓલ-આઇપી, ઓલ-4જી વાયરલેસ ટેલિકમ્યુનિકેશન સેવાઓનું પાયામાંથી નિર્માણ કરી ભારતમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત કરી.

તેમણે તેને વિશ્વના અગ્રણી મોબાઇલ ડેટા બજારોમાંનું એક બનવામાં મદદ કરી, જેને પગલે જિયો આજે 440 મિલિયનથી વધુ ગ્રાહકો સાથે ભારતનું સૌથી મોટું મોબાઇલ નેટવર્ક ઓપરેટર છે. તાજેતરમાં થયેલાં અનેક સોદાઓમાં અંબાણી મુખ્ય વાટાઘાટકારોમાંના એક હતાં, જેના પગલે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં, ફેસબુક સાથેના 5.7 અબજ ડોલરના સોદા સહિત 20 અબજ ડોલરથી વધુનો વૈશ્વિક ઇક્વિટી મૂડી પ્રવાહ રોકાણ સ્વરૂપે આવ્યો હતો.

- Advertisement -

અંબાણી રિલાયન્સ રિટેલ અને જિયોના બ્રાન્ડિંગ ગ્રાહક અનુભવ અને માર્કેટિંગનું સંચાલન કરે છે. ફેશન પોર્ટલ Ajio.com શરૂ કરવા પાછળ પણ તેમનું પ્રેરણાબળ મુખ્ય હતું, આ ઉપરાંત તેઓ ઇકોમર્સ સાહસ જિયોમાર્ટની દેખરેખ પણ રાખે છે, જેનો ઉદ્દેશ નાના અને મધ્યમ વ્યવસાયોમાં ઇકોમર્સની શક્તિ લાવવાનો છે. તેઓ ભારતના સૌથી મોટા ફાઉન્ડેશન રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર તરીકે પણ સેવા આપે છે. રિલાયન્સ ફાઉન્ડેશન અન્ય બાબતો ઉપરાંત ભારતના સાંસ્કૃતિક વારસાનું રક્ષણ અને પ્રોત્સાહન આપવા, ભારતીય કલાને ઉન્નત કરવા અને વૈશ્વિક કળાને ભારતમાં લાવવાનો પ્રયાસ કરે છે. કળાની પહોંચના સાર્વત્રિકરણ માટે પ્રતિબદ્ધ અંબાણીને ભારતીય કલા પ્રત્યે ઊંડો પ્રેમ છે અને તે કળાને નવા પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો જુસ્સો છે. તેઓ પાસે યેલ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની ડિગ્રી ધરાવે છે અને તેઓ ન્યૂયોર્કની મેકિન્ઝી એન્ડ કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટ તરીકેની કામગીરીનો અનુભવ ધરાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular