Friday, April 19, 2024
Homeસ્પોર્ટ્સશ્રીલંકાને ત્રણ વિકેટે હરાવી ભારતે શ્રેણી પર જમાવ્યો કબજો

શ્રીલંકાને ત્રણ વિકેટે હરાવી ભારતે શ્રેણી પર જમાવ્યો કબજો

ચહર અને ભુવનેશ્વર કુમારે બીજા વન ડેમાં ભારતની અપાવી રોમાંચક જિત

- Advertisement -

ભારતની યુવા ટીમે શ્રીલંકા સામેની બીજી વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરીને મેચ તેમજ શ્રેણીમાં વિજય મેળવી લીધો છે. દીપક ચહરના અણનમ 69 રનની મદદથી ભારતનો ત્રણ વિકેટે ભવ્ય વિજય થયો છે. શ્રીલંકાની ટીમે આપેલા 276 રનના લક્ષ્યાંકને ભારતે 49.1 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને પાર કરી લીધો છે. આ સાથે જ ભારતે ત્રણ વન-ડે મેચની સીરિઝમાં 2-0થી શ્રેણી પર કબજો કરી લીધો છે. દીપક ચહરે બોલિંગ તેમજ બેટિંગમાં ઉમદા પ્રદર્શન કર્યું હતું. ભુવનેશ્ર્વર કુમાર સાથે આઠમી વિકેટ માટે ચહરે 84 રનની પાર્ટનરશિપ કરી હતી. ભુવી અને ચહરની આ ભાગીદારી શ્રીલંકા સામે આઠમી વિકેટ માટે બીજી સૌથી સર્વોચ્ચ ભાગીદારી રહી છે. અગાઉ 2017માં મહેન્દ્રસિંહ ધોની તેમજ ભુવનેશ્વર આઠમી વિકેટ માટે 100 રનની ભાગીદારી નોંધાવી હતી તે સૌથી મોખરે છે.

- Advertisement -

શિખર ધવનના નેતૃત્વ હેઠળની ભારતની ટેલેન્ડેટ ક્રિકેટ ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા સીરિઝ પર પોતાનો કબજો જમાવી દીધો છે. ચહરે બીજી વન-ડેમાં બે વિકેટ તેમજ અણનમ 69 રનની ઈનિંગ રમી હોવાથી તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. દીપકે 82 બોલ રમ્યા હતા અને સાત ચોગ્ગા તેમજ એક છગ્ગો ફટકાર્યો હતો. એક તબક્કે ભારતનો સ્કોર 18 ઓવરમાં પાંચ વિકેટ પર 116 રન હતો જેને પગલે બીજી વન-ડે ભારતનો પરાજય નિશ્ર્ચિત જણાતો હતો. સૂર્યકુમાર યાદવે બીજી વન-ડેમાં પોતાની પ્રથમ અડધી સદી (53) કરી હતી.

આ ઉપરાંત કૃણાલ પંડ્યાએ પણ ચહરનો સાથ આપતા 35 રનની મહત્વની ઈનિંગ રમીને હારની બાજીને જીતમાં પલટી દીધી હતી. કેપ્ટન શિખર ધવને 38 બોલમાં 29 રન કર્યા હતા. ભુવનેશ્વર કુમારે 28 બોલમાં 19 રન કરીને બીજો છેડો સંભાળી રાખ્યો હતો અને તે અણનમ રહ્યો હતો. બીજી વન-ડેમાં શ્રીલંકાએ ભારતને જીત માટે 276 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. નિર્ધારિત ઓવરની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓપનર અવિષ્કા ફર્નાન્ડો (50) તેમજ મિડલ ઓર્ડરમાં ચરિથ અસલંકાની (65) અડધી સદીની મદદથી યજમાન ટીમે 9 વિકેટ ગુમાવીને 275 રન કર્યા હતા. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે ઉપરા ઉપરી બે વિકેટ ઝડપીને શ્રીલંકાને મુશ્કેલીમાં મુકી દીધું હતું. ચહલે 10 ઓવરમાં 50 રન આપીને કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારે પણ 54 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. દીપક ચહરે બે વિકેટ લીધી હતી જ્યારે લક્ષણ સંદાકન રન આઉટ થયો હતો. શ્રીલંકાની અડધી ટીમ 172 રનમાં પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ ચામિકા કરૂણારત્નેની 33 બોલમાં 44 રનની અણનમ ઈનિંગની મદદથી શ્રીલંકન ટીમ સન્માનજનક સ્કોર ખડકી શકી હતી. ઘરઆંગણે રમી રહેલી શ્રીલંકન ટીમમાં એકાગ્રતાનો અભાવ જણાયો હતો. બોલર્સમાં વનિંદુ હસારંગાએ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે રજિતા, સંદાકન અને શનાકાએ એક-એક વિકેટ લીધી હતી. શ્રીલંકાની કંગાળ ફિલ્ડિંગ તેમજ યોગ્ય તાલમેલના અભાવને પગલે તેણે ભારત સામે વન-ડે શ્રેણી ગુમાવવી પડી છે. હવે 23મી જુલાઈએ બન્ને દેશો વચ્ચે ત્રીજી અને ઔપચારિક વન-ડે યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular