Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરકેસ વધતા 20 દિ’માં જામનગરમાં 700થી વધુ યાત્રિઓએ ટિકિટ કેન્સલ કરાવી

કેસ વધતા 20 દિ’માં જામનગરમાં 700થી વધુ યાત્રિઓએ ટિકિટ કેન્સલ કરાવી

રેલવે દ્વારા જામનગરમાં રૂા. 9,38,130 તથા હાપામાં રૂા. 1,99,515નું રિફંડ ચૂકવાયું : યાત્રિકો મુસાફરીનું જોખમ લેવા તૈયાર નથી

- Advertisement -

ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાની ત્રીજી લહેરને કારણે કોરોનાના કેસોમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. રાજ્ય સહિત સમગ્ર ભારતમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધ્યું છે. કોરોનાના કેસો વધવાની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફયૂ સહિતના નિયંત્રણો પણ લાદવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ લોકો પણ પોતાના મોટા કાર્યક્રમો, મુસાફરી સહિતના આયોજનો રદ્ કરી રહ્યાં છે. જામનગર રેલવે સ્ટેશને 20 દિવસમાં 709 યાત્રિકોએ ટિકિટ કેન્સલ કરાવી છે. જેને રેલવે દ્વારા 9,38,130નું રિફંડ ચૂકવ્યું છે.

- Advertisement -

સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે કેસ મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. કોરોના સંક્રમણ વધવાની સાથે ગુજરાત સરકાર દ્વારા જામનગર સહિત 8 મહાનગરો તેમજ 17 શહેરોમાં રાત્રી કર્ફયૂ લાદયો છે. તેમજ લગ્ન સમારોહમાં 150 લોકોની મર્યાદામાં છૂટ આપી છે. જેના પગલે લોકોએ પોતાના અનેક મોટા કાર્યક્રમો, મુસાફરી સહિતના આયોજનો મુલત્વી રાખવા પડયા છે. કોરોનાના કેસ વધતા તંત્ર પણ એલર્ટ થઇ ચૂકયું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ સહિતના સ્થળોએ પણ કોરોના ટેસ્ટીંગ શરુ કરાયા છે. ત્યારે રાજકોટ રેલવે ડિવિઝનમાં 18 દિવસમાં 55,918 મુસાફરોએ ટિકિટ કેન્સલ કરાવી છે. આ મુસાફરોને રાજકોટ રેલવે ડિવિઝને 3.85 કરોડનું રિફંડ ચૂકવયું છે.

ઉલ્લેખનિય છે કે, સામાન્ય સંજોગોમાં મે મહિનામાં વિદ્યાર્થીઓને શાળામાં વેકેશન હોય છે. આથી જામનગર સહિત સૌરાષ્ટ્રભરના લોકો બહારગામ હરવા-ફરવા તથા યાત્રા માટે જતાં હોય છે. રેલવેમાં મુસાફરો 120 દિવસ અગાઉ ટ્રેનની ટિકિટ બુક કરી શકે છે. આથી યાત્રિકો 120 દિવસ પૂર્વે જ ટિકિટ બુક કરાવી લેતાં હોય છે. નવેમ્બર-ડિસેમ્બર માસમાં કેસ સાવ નહિંવત હોવાને કારણે લોકોએ ટ્રેનમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. પરંતુ જાન્યુઆરી માસમાં કોરોનાના કેસોમાં મોટાપાયે ઉછાળો આવતાં વિકટ પરિસ્થિતિમાં અનેક લોકોએ ટ્રેનમાં કે, ફલાઇટમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. 1 થી 20 જાન્યઉારી દરમિયાન જામનગર રેલવે સ્ટેશને 709 ટિકિટ કેન્સલ થઇ છે. જેનું રેલવે દ્વારા 9,38,130 રિફન્ડ ચૂકવવામાં આવ્યું છે. તેમજ 1 થી 20 જાન્યુઆરી દરમિયાન હાપા રેલવે સ્ટેશને 389 ટિકિટો કેન્સલ થઇ છે. જેનું રેલવેએ રૂા. 1,99,515 રિફંડ ચૂકવ્યું છે.

- Advertisement -

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકો ટ્રેન અને ફલાઇટમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. જામનગરથી જતી લાંબા રૂટની ટ્રેનોમાં પણ હાલ સીટો ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે. હરિદ્વાર, એર્નાકુલ્લમ, મુંબઇ સહિતની લાંબા રૂટની ટ્રેનોમાં સીટ ખાલી રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular