Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરએનસીસી વિજય શૃંખલા અંતર્ગત જામનગર-દ્વારકા જિલ્લાનાં શહિદ વીરોનું સન્માન

એનસીસી વિજય શૃંખલા અંતર્ગત જામનગર-દ્વારકા જિલ્લાનાં શહિદ વીરોનું સન્માન

ભારતભરમાં 75 સ્થળોએ આ વિરાંજલિનાં કાર્યકમની ઉજવણી

- Advertisement -

1971ના વર્ષનાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સરહદ પર જુદી-જુદી જગ્યાએ તેમજ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય થલસેનાનાં 75 જવાનોએ શહીદી વહોરી હતી. આ બનાવને 50 વર્ષ તાજેતરમાં પૂરા થયા છે. જેના ઉપલક્ષ્યમાં સમગ્ર ભારતમાં આ વીર શહીદોનાં સન્માનનો કાર્યક્રમ ઉજવાઇ રહ્યો છે. જેમાં દેવભુમિ દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુર તાલુકાનાં બે શહીદો તથા જામનગર જિલ્લાનાં બે શહીદોનું પણ ભારતીય સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

- Advertisement -

વિવિધતામાં એકતાનાં સંદેશને સાકાર કરતા આ એનસીસી વિજય શૃંખલા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. જેમાં દેવભુમિ દ્વારકાનાં કલ્યાણપુર તાલુકાનાં બે શહીદોનાં સન્માનનો કાર્યક્રમ નંદાણાની જીએમડીસી ઉચ્ચતર માધ્યમિક શાળામાં તેમના માતા-પિતાને સહપરિવાર આમંત્રિત કરી ઉજવવામાં આવ્યો હતો. તેમજ જામનગરમાં જામનગર જિલ્લાનાં બે શહીદોનાં સન્માનનો કાર્યક્રમ તેમના સહપરિવાર આમંત્રિત કરી પ્રણામી ગ્લોબલ સ્કૂલમાં ઉજવવામાં આવ્યો હતો.

નંદાણાની જીએમડીસી હાઇસ્કૂલમાં એનસીસી વિજય શૃંખલાનો આ કાર્યક્રમ 27 ગુજરાત એનસીસી બટાલિયન, જામનગરનાં કમાંડીંગ ઓફિસર કર્નલ મનોજ કુમાર બક્ષી તથા સુબેદાર મેજર લાલ બહાદુર સિંહનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

- Advertisement -

12 એપ્રિલ 2002નાં રોજ જમ્મુ-કાશ્મીરમાં, 17 આર આર 8 મરાઠા લી યુનિટનાં આ ગનર લેફટનન્ટ ડાભી મોહનભાઇ માથુરભાઇએ આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરી હતી. 10 સપ્ટેમ્બર 2005નાં રોજ જમ્મુ-કાશ્મીરનાં અવન્તીપુરામાં 190 એફડી રેજીમેન્ટ યુનિટનાં લેફટનન્ટ નકુમ દિલીપભાઇ પરષોતમભાઇએ આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરી હતી.

આ બંને શહીદોનાં માતા-પિતાને શાલ-ધાબડા અર્પિત કરી, તેમના પુત્રએ દેશની સુરક્ષા માટે જીવનરૂપી કિંમતી ભેટ રાષ્ટ્રનાં ચરણોમાં ધરી તે બદલ તેઓને હ્રદયસભર રીતે સન્માનિત કરવામાં આવ્યા હતાં. જામનગરમાં પ્રણામી ગ્લોબલ સ્કૂલમાં આજ રોજ બે શહીદોનાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે (સેવાનિવૃત) કર્નલ આર.કે.ભાટલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

- Advertisement -

કારગિલ યુદ્ધમાં 6-7-1999નાં રોજ ઓપરેશન વિજય અંતર્ગત 141 એફડી રેજીમેન્ટનાં સિપાહી જોગલ રમેશકુમાર વિક્રમસિહે દુશ્મનો સામેની અથડામણમાં શહીદી વહોરી હતી. ઓપરેશન રક્ષકમાં 07-04-1999નાં રોજ બારામુલ્લામાં 34 આર.આર.બટાલિયન યુનિટનાં સિપાહી જાડેજા અશોકસિંહ ગોવુભાએ આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરી લીધી હતી.

આમ, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાનાં વીર શહીદોનાં પરિવારજનો આ ગૌરવ અને લાગણી સભર ક્ષણોનો અવિસ્મરણીય હિસ્સો બન્યા હતાં. 27 એનસીસી ગુજરાત બટાલિયનનાં કમાંડીંગ ઓફિસર કર્નલ મનોજકુમાર બક્ષી, એડમીન ઓફિસર કર્નલ મનીષ મલ્હોત્રા, સુબેદાર મેજર લાલ બહાદુર સિંહનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ રીતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રણામી ગ્લોબલ સ્કૂલનાં એડમીન ઓફિસર (સેવાનિવૃત), સુબેદાર મેજર(માનદ્ કેપ્ટન) રાજેન્દ્રસિંહ ગોદારા તથા શાળાનાં શિક્ષણ વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી. વિવિધ શાળા-કોેલેજનાં એ.એન.ઓ, આર્મી-નેવી યુનિટનાં પીઆઇ સ્ટાફ તથા શાળા-કોલેજમાં કેડે્ટસની હાજરી પણ રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular