જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. તે દરમિયાન કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાંથી સામે આવેલા દ્રશ્યોએ સૌને ચિંતિત કરી દીધા હતા. ભારે વરસાદને પગલે ગામની પ્રાથમિક શાળાના સમગ્ર પરિસરમાં વરસાદી પાણી ફરી વળતાં વિદ્યાર્થીઓ એક સમયે શાળામાં જ ફસાઈ ગયા હતા.
પરિસ્થિતિની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને ગામના સરપંચ રાજદીપસિંહ જાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવા છતાં સૌએ હિંમત અને સૂઝબૂઝ દાખવી બાળકોને એક પછી એક સલામત રીતે શાળાની બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
વહેતા પાણીના જોખમ વચ્ચે ગ્રામજનોએ માનવ સાંકળ બનાવી અને બાળકોને સાવચેતીપૂર્વક સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. સમગ્ર બચાવ કામગીરી દરમિયાન બાળકોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને કોઈપણ જાનહાનિ વિના સુરક્ષિત બહાર લાવવામાં સફળતા મળી હતી.
View this post on Instagram
ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્થાનિક લોકોની માનવતા, હિંમત અને સમયસરની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિક તંત્ર પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ભાવાભી ખીજડીયા ગામની આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે કુદરતી આફતના સમયમાં સ્થાનિક લોકોની એકતા, સતર્કતા અને સમયસરનો સહયોગ અનેક કિંમતી જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.


