જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી યુવતી કોલેજેથી ઘરે આવવા નીકળ્યા બાદ લાપત્તા થઇ જતાં પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના તળાવની પાળ પાસે આવેલા દિગ્વિજય પ્લોટ, શેરી નંબર સાતમાં રહેતી સ્નેહાબેન હિતેષભાઇ ભિંડી (ઉ.વ.18) નામની યુવતી તેના ઘરેથી સવારે સાડા આઠ વાગ્યે કોલેજે જવા માટે નીકળી હતી. ત્યારબાદ સ્નેહા રાબેતા મુજબ અગિયાર વાગ્યે ઘરે આવી જતી હતી. પરંતુ કોલેજેથી નીકળ્યા બાદ ઘરે પરત ન આવતા યુવતીના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરિવારજનોએ યુવતીના મિત્રવર્તુળ અને સગાસંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ સ્નેહાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ કિરણબેન દ્વારા તેની પુત્રી લાપત્તા થયાની સિટી ‘સી’ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા પીએસઆઇ એન. એમ. ઝાલા તથા સ્ટાફે લાપત્તા યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


