બ્રિટનમાં ફરી એકવાર કોહિનૂર ભારતને પરત કરવાની માંગ ઉઠી છે. હકીકતમાં, એવા અહેવાલો છે કે રાણી કેમિલા બ્રિટનના રાજા ચાલ્ર્સના રાજ્યાભિષેક વખતે સ્વર્ગસ્થ રાણી વિક્ટોરિયાનો કોહિનૂર જડિત તાજ પહેરશે નહીં. આ અહેવાલ સામે આવતાની સાથે જ કોહિનૂર હીરાને ભારતને પરત કરવાની ચર્ચાએ ફરીથી જોર પકડ્યું છે. લેખક અને બ્રોડકાસ્ટર એમ્મા વેબ અને ભારતીય મૂળના પત્રકાર નરિન્દર કૌર યુકેના એક લોકપ્રિય ટીવી શોમાં કોહિનૂર મુદ્દે ઉગ્ર દલીલમાં ઉતર્યા હતા. એમ્મા વેબે દાવો કર્યો હતો કે કોહિનૂર હીરાની માલિકી અંગે વિવાદ ચાલી રહ્યો છે. જેના પર નરિન્દર કૌરે તેમને અટકાવતા કહ્યું હતું કે તમે ઈતિહાસ વિશે નથી જાણતા. એમ્મા વેબે કહ્યું કે ‘શિખ સામ્રાજ્યએ લાહોરમાં પણ શાસન કર્યું, તો શું પાકિસ્તાન તેના પર પણ દાવો કરશે? એમ્માએ જણાવ્યું હતું કે શીખ સામ્રાજ્યએ ઈરાની સામ્રાજ્યમાંથી કોહિનૂર હીરાની ચોરી કરી હતી અને ઈરાની સામ્રાજ્યએ મુઘલ શાસકો પર હુમલો કરીને તેને છીનવી લીધો હતો, તેથી કોહિનૂર હીરાની માલિકી અંગે વિવાદ થયો હતો.
આ અંગે ભારતીય મૂળના નરિન્દર કૌરે કહ્યું હતું કે કોહિનૂર હીરો સંસ્થાનવાદી સમયગાળા અને રક્તપાતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ભારતને પાછું આપવું જોઈએ. નરિન્દર કૌરે બાદમાં એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે કોહિનૂર હીરો ભારતની ધરતીમાંથી નીકળ્યો હતો. તે બ્રિટનના કોલોનિયલ શાસનના ઇતિહાસના અંધકારમય પ્રકરણોને પ્રતિબિંબિત કરે છે. સંયુક્ત રાષ્ટ્રે પણ કહ્યું છે કે પોતાનો ખજાનો ફરીથી મેળવવાનો દરેક દેશનો અધિકાર છે.


