જામનગર શહેર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા લુમ્મબીનીનગરમાં રહેતાં મહિલાએ તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતાં પ્રૌઢ શ્રમિકે તેના ઘરે ઝેરી દવા ગટગટાવતા જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના જશાપર ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારના તરૂણને સાપ કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા લુમ્મબીનીનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા દક્ષાબેન સંજયભાઈ જેપાર (ઉ.વ.25) નામના મહિલાએ ગત શનિવારે રાત્રિના સમયે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ સંજયભાઇ દ્વારા જાણ કરાતા હેકો કે.સી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના ચંગા ગામમાં બસ સ્ટેન્ડની બાજુમાં રહેતાં અને મજૂરી કામ કરતા કિશોરસંગ માનસંગજી પીંગળ (ઉ.વ.55) નામના શ્રમિક પ્રૌઢે બે વર્ષથી થયેલ માનસિક બીમારીથી કંટાળીને શુક્રવારે સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન રવિવારે સાંજે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ દિલીપસિંહ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, કાલાવડ તાલુકાના જશાપર ગામની સીમમાં આવેલ સુરેશભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા પ્રવિણભાઈ ખેંગારીયા નામના યુવાનનો પુત્ર દેવાભાઇ ખેંગારીયા (ઉ.વ.15) નામના તરૂણને ગત શુક્રવારે બપોરના સમયે તેના ખેતરે મોટર ચાલુ કરવા જતાં સમયે સાપ કરડી જતાં કાલાવડની સરકારી અને ત્યારબાદ જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી આરંભી હતી.


