જામનગરના હનુમાનટેકરી વિસ્તારમાં પારકા ઝઘડામાં ચંચુપાત કરવાનું યુવાનને ભારે પડયું છે. અન્યનો ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કરનાર યુવાન ઉપર ઝઘડો કરતા શખ્સોએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી છે.
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસે કેટલાંક શખ્સો રસ્તા પર ઝઘડો કરી બોલાચાલી કરતા પસાર થતા હતાં ત્યારે અહીં ચોકમાં બેસેલા રવિભાઈ વિનુભાઈ રાઠોડ નામના શખ્સે ઝઘડો કરતા શખ્સોને અટકાવી શાંતિ રાખવા અને અહીં ઝઘડો ન કરવા જણાવ્યું હતું. આથી ઉશ્કેરાયેલા કેતન ઉર્ફે ટોપારો, નવાબ અને ધોણિયો નામના વામ્બેઆવાસમાં રહેતા શખ્સોએ ભેગા થઈ રવિભાઈને પકડી તેના પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં રવિભાઈને નિતંબના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્રણેય આરોપીઓએ રવિભાઈને ભેગા મળીને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો તેમજ બિભત્સ ગાળો આપી જાની મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રવિભાઈ રાઠોડે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઉપરોકત ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની જુદી જુદી કલમો અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનાની તપાસ સી ડીવીઝનના સબ ઈન્સ્પેકટર એસ.એમ. સિસોદીયા ચલાવી રહ્યા છે.


