ખંભાળિયા તાલુકાના સોડસલા ગામમાં રહેતાં મહિલા રાત્રિના સમયે નિંદ્રાધિન હતા ત્યારે ગળામાં સાપે દંશ મારતા જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું. ભાણવડના રણજિતપરામાં રહેતાં વૃદ્ધા ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતાં મોત નિપજયું હતું. મીઠાપુરના આરંભડામાં પ્રૌઢની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
પ્રથમ બનાવ ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા પૂનમબેન ચંદ્રકાંતભાઈ પરમાર (ઉ.વ.42) નામના મહિલા ગત્ તારીખ 16ના રાત્રિના સમયે તેમના ઘરે સુતા હતા. તે દરમિયાન ઝેરી સર્પે તેમના ગળાના ભાગે દંશ દેતા તેમને ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવારઅર્થે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ ચંદ્રકાંતભાઈ કરશનભાઈ પરમારે કરતાં સલાયા મરીન પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ ભાણવડના રણજીતપરા વિસ્તારમાં રહેતા શાંતિબેન અનંતભાઈ રાવલ (ઉ.વ.70) નામના મહિલા પોતાના ઘરે ફળિયામાં પાણીની ઇલેક્ટ્રીક મોટર ચાલુ હતી, ત્યારે પાણીની નળી નીકળી જતા ચાલુ મોટરે નળી ફીટ કરવા ગયા હતા. જયાં તેમને વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર જીતેન્દ્રભાઈ અનંતભાઈ રાવલે જાણ કરતાં ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અબ્બાસભાઈ દાઉદભાઈ બેતારા (ઉ.વ.57) નામના પ્રૌઢ તા. 18ના તેમના ઘરે ખાટલા પર સુતા હતા. તે દરમિયાન એકાએક તેમના હાથ વળવા લાગ્યા હતા અને મોઢું ત્રાસુ થઈ ગયું હતું. એકાએક થયેલી તકલીફ વચ્ચે તેમના પરિવારજનો તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ મૃતકના પત્ની જીન્નતબેન અબ્બાસભાઈ બેતારાએ કરતાં મીઠાપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


