80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જામનગર દેશભક્તિના રંગે રંગાયું છે. જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે શહેર-જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, જાહેર ઇમારતો, સ્મારકો તેમજ મુખ્ય માર્ગો પર તિરંગાના રંગોથી આકર્ષક રોશનીના શણગાર કરવામાં આવ્યા છે.
શહેરની ઇમારતો પર ઝળહળતી રોશની દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને વધુ ઉજાગર કરી રહી છે. તિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગોથી શોભિત થયેલી ઇમારતો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
જામનગરની શાન લખોટા તળાવ, ભુજિયો કોઠો, કલેક્ટર કચેરી, ટાઉનહોલ, જિલ્લા સેવા સદન, જિલ્લા ન્યાય મંદિર, તેમજ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને અનુલક્ષીને ધ્રોલ નગરપાલિકા બિલ્ડિંગ, બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ, ધ્રોલ નગરપાલિકા કોન્યુનિટી હોલ, ધ્રોલ પ્રાંત કચેરી સહિતના સ્થળોએ રોશનીના શણગાર કરવામાં આવ્યા છે.
View this post on Instagram
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની સજાવટ અને રોશનીના શણગાર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. નગરજનોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર જામનગર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે સજ્જ બન્યું છે.
રાત્રિના સમયે ઝગમગતી ઇમારતો જામનગરની શોભામાં વધારો કરી રહી છે અને દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરાવતી દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવી રહી છે.


