જામનગર સુભાષપરામાં યુવાન મસાલો ખાતો હોય એક શખ્સે મસાલો માંગતા યુવાને મસાલો ન આપતા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના શંકરટેકરી સુભાષપરા, શેરી નં.2માં રહેતા અશ્વિન બીજલભાઇ ચૌહાણ નામનો યુવાન ગત તા.5ના રાત્રીના સમયે સુભાષપરા વિસ્તારમાં આવેલી પાનની દુકાને માવો ખાતો હતો આ દરમિયાન દિલીપ ઉર્ફે દિલો નામનો શખ્સ ત્યાં આવી ફરિયાદી પાસે મસાલો માગ્યો હતો. જે ફરિયાદીએ ન આપતા દિલીપ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને જેમફાવે તેમ ગાળો કાઢી હતી. અને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેના ભાઇ કાનો નામના શખ્સે પણ ફરિયાદીને નીચે પછાડીને માર માર્યો હતો.
આ અંગે અશ્વિનભાઇ દ્વારા સીટી સી ડિવિઝનમાં દિલીપ ઉર્ફે દિલો તથા તેનો ભાઇ કાના વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


