એલસીબીએ દ્વારકા જિલ્લાના રાવલ ગામેથી રોયલ્ટી વગરના 14 ટન બેલા પથ્થર ભરેલો ટ્રક ઝડપી લઇ ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થતા ગેરકાયદેસર ખનીજ ખનન તેમજ ખનીજ વહન સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જુદી-જુદી પોલીસ ટીમ દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે બુધવારે જિલ્લા એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કિશોરભાઈ નંદાણીયા, ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામેથી પસાર થઈ રહેલા જી.જે. 08 ડબલ્યુ 0106 નંબર એક ટાટા ટ્રકને અટકાવી ચેકિંગ કરતા આ ટ્રકમાં સફેદ પથ્થર (બેલા) નો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસની તપાસમાં આ બેલા પથ્થર અંગે કોઈ રોયલ્ટી કે પાસ પરમિટ ન હતા. આથી પોલીસે આશરે 14 ટન જેટલા સફેદ પથ્થર (બેલા)નો જથ્થો કબજે કરી અને આ અંગે જિલ્લા ખાણ ખનીજ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે.
આ કામગીરીમાં એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા તથા સ્ટાફ જોડાયો હતો.


