કાલાવડ ગામમાંથી એકસાથે બબ્બે બાળકો લાપત્તા થઇ જતાં બન્નેના અપહરણ થયાની આશંકાએ પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ કાલાવડ ગામમાં જીવાપર રોડ પર આવેલા કૈલાસનગર વિસ્તારમાં રહેતાં નિલેશગિરિ રામગિરિ અપારનાથી (ઉ.વ.46) નામના વેપારી યુવાનનો પુત્ર દેવાંગ (ઉ.વ.આ. 10) નામનો બાળક ગઇકાલે સોમવારે સાંજના સમયે તેના ઘર પાસેથી લાપત્તા થયો હતો. લાપત્તા થયેલા સગીરની પરિવારજનો દ્વારા સગા-સંબંધી અને મિત્રવર્તુળમાં શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં સગીરનો પત્તો લાગ્યો ન હતો. તેમજ બાજુમાં રહેતાં બુધાભાઇ નામના યુવાનનો પુત્ર મૂળાભાઇ ઉર્ફે ક્રિષ (ઉ.વ.14) નામનો સગીર પણ સોમવારે સાંજે ઘર પાસેથી લાપત્તા થયાના બનાવમાં બન્ને સગીરોના પરિવારજનો દ્વારા એકસાથે લાપત્તા થયેલા બન્ને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં સગીરોનો પત્તો ન મળતાં આખરે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફએ લાપત્તા બાળકોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.


