જામનગર જિલ્લાના મેઘપર ગામ નજીક બેફિકરાઇથી આવતી બસના ચાલકે રસ્તો ક્રોસ કરતાં પરપ્રાંતિય યુવાનને હડફેટ લેતાં ગંભીર ઇજા પહોંચવાથી મોત નિપજયાના બનાવમાં પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ બિહારના શાહરન જિલ્લાના બનિયાપુર ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહીને નોકરી કરતો સન્ટુ કેર.આર.સિંઘ લાલબાબુ સિંઘ (ઉ.વ.37) નામનો યુવાન રવિવારે રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર મેઘપર ગામ પાસે બાપા સિતારામ મોબાઇલ પાસે રસ્તો ક્રોસ કરતો હતો ત્યારે પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી ડીડી03 ડબલ્યુ 9399 નંબરની બસના ચાલકે યુવાનને હડફેટ લેતાં શરીરે તથા માથામાં નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે છોટુકુમાર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ. જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.


